Gir Somnath: છેલ્લા ઘણાં સમયથી અલગ-અલગ સમાજના અગ્રણીઓ દ્વારા લગ્નની નોંધણીને લગતા નિયમોમાં સુધારો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. ખુદ સરકાર પણ આ બાબતે ગંભીરતાથી વિચારી રહી છે. એવામાં ગીર સોમનાથ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
પોતાના પત્રમાં વિમલ ચુડસમાએ જણાવ્યું છે કે, હાલના સમયમાં છોકરીઓ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેવા છોકરાના પ્રેમમાં પડીને માતા-પિતાની જાણ બહાર પ્રેમલગ્ન કરી રહી છે. આવી છોકરીઓ પોતાના ભવિષ્યનો પણ વિચાર કરતી નથી. આખરે આવી દીકરીઓને દુખી થવાનો વારો આવે છે.
આવા લગ્નની નોંધણી કોણ પણ તલાટી કે કચેરીએથી થતા હોય છે, જેની માતા-પિતાને જાણ પણ કરવામાં આવતી નથી. આથી લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતી ફરજિયાત રવામાં આવવી જોઈએ. જેથી કોઈ દીકરી કે તેમના માતા-પિતાને હેરાન થવાનો વારો ના આવે. આ માટે જે બને તેમ જલ્દી કાયદો બનાવવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ પાટીદાર સમાજના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત લીધી હતી. જેમાં તેમણે પ્રેમલગ્નની નોંધણીમાં માતા-પિતાની સહમતી, બન્ને પાત્રોની મેડિકલ તપાસ, પુરાવા સબંધિત ચકાસણી, જ્ઞાતિ-ધર્મ અને વય અંગે ખારાઈ કરતા પુરાવા ફરજિયાત કરવા રજૂઆત કરી હતી.
પોતાની રજૂઆતમાં પાટીદાર અગ્રણીઓએ કેટલાક તલાટીઓ દ્વારા પૈસા પડાવીને લગ્નની નોંધણી કરવામાં આવતી હોવા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા લગ્નની નોંધણીના કાયદામાં સુધારો કરવા માટે બાંહેધરી પણ આપવામાં આવી હતી.
