Vadodara: સાવલી તાલુકાના સધાપુરા ગામે રંગોત્સવની તૈયારીઓ વચ્ચે કરુણાંતિકા સર્જાઈ છે. કેસૂડાના ફૂલ તોડવા ગયેલો યુવક વીજ કરંટથી મોતને ભેટતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સધાપુરા ગામમાં રહેતો જયદીપ ગોહિલ (28) રંગોત્સવ નિમિત્તે કેસૂડાના ફૂલ ભેગા કરવા માટે ખેતર નજીક આવેલા ઝાડ પર ચડ્યો હતો. જયદીપ ઝાડ પરથી કેસુડાના ફૂલ તોડી રહ્યો હતો, ત્યારે નજીકથી પસાર થતી વીજ લાઈનનો વાયર અચાનક ઝાડને અડી ગયો હતો.
જીવંત વાયરના સીધા સંપર્કમાં આવતા જયદીપને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે ઝટકા સાથે ઝાડ પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
આ બાબતની જાણ થતાં પરિવારજનો સહિત ગ્રામજનો તાત્કાલિક તેને સારવાર અર્થે સાવલીના સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ જયદીપને મૃત જાહેર કર્યો હતો. હાલ તો હોસ્પિટલ પહોંચેલી સાવલી પોલીસની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ સધાપુરા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા મૃતક યુવકના પરિવારજનોને તાત્કાલિક આર્થિક સહાય અને સરકારી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
