Vadodara: મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી વડોદરાની સયાજી હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના કેટલાક વોર્ડમાં પંખા બંધ હાલતમાં હોવાથી દર્દીઓ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. આખરે ગરમીથી ત્રસ્ત દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવી વોર્ડમાં લગાડવાનું શરૂ કરી દીધુ છે.
આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, સર્જિકલ વોર્ડમાં ચાલી રહેલી મેઈન્ટેનેન્સની કામગીરીના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો
મેઈન્ટેનેન્સ કામગીરી દરમ્યાન કેટલાક વોર્ડમાં તકલીફ ઊભી થઈ છે. અમે ઇલેક્ટ્રિક અને PIU સિવિલ વિભાગને જાણ કરી છે અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે નોટિસ પણ આપવામાં આવશે. આ સાથે જ બેદરકારી રાખનારાઓ સામે કડક પગલાં લેવાશે.
જણાવી દઈએ કે, સયાજી હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પણ દર્દીઓ સારવાર માટે આવે છે. સયાજીમાં સમયસર મેઈન્ટેનેન્સ ના થતું હોવાથી અનેકવાર આવી સ્થિતિ સર્જાતી રહે છે. હાલ તો દર્દીઓ અને તેમના સ્વજનો તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવે, તેવી માગ કરી રહ્યા છે.
