Vadodara: નવરાત્રિ દરમિયાન ભાયલીમાં સગીરા પર ગેંગરેપની ઘટનાને સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યું છે. આ ગુનામાં પોલીસે 48 કલાકની અંદર પાંચેય હવસખોરોને ઝડપી પાડ્યા હતા. હાલ તમામ આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે આજે પાંચેય નરાધમોને પોલીસ ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ.
આ માટે પોલીસની ટીમ પાંચેય આરોપીઓને ભાયલીમાં જ્યાં જધન્ય કાંડને અંજામ આપવામાં આવ્યો, ત્યાં લઈને પહોંચી હતી. જ્યાં નરાધમોએ દુષ્કર્મની રાતે પીડિતા અને તેના મિત્ર સાથે કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો? તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપી શાહરુખ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા, મુન્ના બંજારા, સૈફઅલી બંજારા અને અજમલ બંજારાને ઘટના સ્થળે લાવીને રિ-કન્સ્ટ્રક્શન હાથ ધરાયું હતુ. આ તબક્કે SITના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા.
જણાવી દઈએ કે, ગત 4 ઓક્ટોબરની રાત્રે ભાયલી ગામના હદમાં સામુહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી. જેમાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો. જેને લઈને વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો કામે લાગી અને 48 કલાક પછી શહેર ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. હાલ કોર્ટ દ્વારા તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આજે વડોદરા પોલીસ અને ફાયર વિભાગની ટીમે આરોપીઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવેલ પીડિતાનો મોબાઈલ શોધવા અન્ડરવોટર કેમેરાની મદદ લેવામાં આવી હતી. જ્યાં ફાયર વિભાગની ટીમે 3 થી 4 કલાક સુધી મગરોથી ભરેલી વિશ્વામિત્રી નદી ફેંદી નાંખી હતી. જો કે પીડિતાનો મોબાઈલ મળ્યો હતો. જેનો રિપોર્ટ ફાયર વિભાગની ટીમે SITને સોંપી દીધો છે.
