Vadodara | Gambhira Bridge Tanker News: પાદરા નજીકના મુંજપુર ખાતે આવેલો ગંભીરા બ્રિજ ગત 9 જુલાઈના રોજ ધરાશાયી થઈ ગયો છે. જે બાદ છેલ્લા 29 દિવસથી તૂટેલા પુલ પર જોખમી રીતે લટકી રહેલા ટેન્કરને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા પ્રયાસ તેજ કરવામાં આવ્યા હતા. જેમાં રેસ્ક્યુ ટીમને આંશિક સફળતા મળી છે.
હકીકતમાં બ્રિજ પરથી ટેન્કરને હટાવવા માટે વિશ્વકર્મા મરીન કંપની તેમજ મરીન ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા આજે સતત બીજા દિવસે રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં 50 જેટલા એન્જિનિયરો અને કર્મચારીઓ ટેન્કરને સલામત રીતે બહાર કાઢવા માટે કાર્યરત હતા.
જે અંતર્ગત આજે ટેન્કરની નીચે બ્લેક કલરના મરીન બલુન મૂકવામાં આવ્યા હતા. આ સમયે ટેન્કરને મજબૂત તાર વડે બાંધવામાં આવ્યું છે. જેથી રેસ્ક્યુ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિનો ખતરો ના રહે.
આજે બે એર કેપ્સ્યુલ બલુનની મદદથી ટેન્કરને ઊંચકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત એર લિફ્ટિંગ રોલર બેગમાં હવા ભરાતા ટેન્કર આગળથી ઊંચુ થતું જોવા મળ્યું હતુ. જેના કારણે ઑપરેશનને પ્રાથમિક સફળતા સાંપડી છે.
આજે સંપૂર્ણ ઑપરેશનનું સંચાલન કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવી રહ્યું છે. જ્યાંથી અધિકારીઓની ટીમ રિયલ ટાઈમ મોનિટરિંગ કરી રહી છે. 4 ડ્રોન કેમેરાની મદદથી કામગીરીનું સતત રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને ઑપરેશન પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ અગત્યના ઑપરેશનમાં દરેક પગલાં સાવચેતીપૂર્વક લેવામાં આવી રહ્યા છે. આગામી થોડા કલાકોમાં ટેન્કરને સંપૂર્ણ બહાર કાઢી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈની વહેલી સવારે મુંજપુર ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 21 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સરકારે ચાર જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ફરજમાંથી મોકૂફ કર્યા હતા. જેમની સામે તપાસના આદેશ આપ્યા બાદ ACB દ્વારા સસ્પેન્ડ અધિકારીઓની મિલ્કતો સહિત વિવિધ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
