Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ફિલ્મ 'લાલો-શ્રી કૃષ્ણ સદાસહાયતે' પર ભગવાન શ્રીકૃષ્ણની ખરેખર કૃપા વરસતી હોય, તેમ તે બોક્સ ઑફિસ પર ચમત્કાર કરી રહી છે. જેમ-જેમ દિવસો વીતતા જાય છે, તેમ વધુને વધુ લોકો આ ફિલ્મ નિહાળવા માટે થિયેટરો તરફ જવા લાગ્યા છે. અત્યાર સુધી 'લાલો-શ્રી કૃષ્ણ સદાસહાયતે'નું પ્રદર્શન જોઈએ તો, ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં પણ સામેલ થઈ જાય, તો નવાઈ નહીં. એવામાં વડોદરા સ્થિત સેન્ટ્રલ જેલમાં આ ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતુ.
હકીકતમાં 'લાલો' ફિલ્મના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ મૂકીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓને 'લાલો' ફિલ્મ બતાવવામાં આવી.
આ પણ વાંચો
આ પોસ્ટની નીચે કોમેન્ટમાં પણ કેદીને આ ફિલ્મ બતાવવાના પગલાને આવકારી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, પહેલી એવી ફિલ્મ હશે, જે દેશના ખુણે-ખુણે પહોંચી છે. હવે જેલમાં પણ બતાવવામાં આવી છે. એક યુઝર્સે લખ્યું છે કે, આ એક ઉમદા અભિયાન છે. આશા છે કે, કેદીભાઈઓ આવનારા દિવસોમાં સારા કર્મ કરશે. એક યુઝર્સે લખ્યું છે કે, લાલાને યાદ કરો એટલે તમારા બધા ગુના માફ.
આ બાબતે જ્યારે ગુજરાતી જાગરણે વડોદરા સેન્ટ્રલ જેલના અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ધાર્મિક ફિલ્મ હોવાથી ફિલ્મનું સ્ક્રિનિંગ જેલમાં રાખવામાં આવ્યું હતુ. જેલમાં કેદ તમામ કેદીઓએ ફિલ્મ નિહાળી હતી.
આ ફિલ્મ કોઈ મોબાઈલમાં ના જોતા
'લાલો' ફિલ્મને મળી રહેલી અણધારી સફળતા અંગે ડિરેક્ટર અંકિત સખીયાએ જણાવ્યું કે, આ ફિલ્મની વાર્તા આપણા બધાની છે. આજના સમયમાં કદાચ પ્રભુ આવે, તો આપણને શું કહે? ભગવાન શ્રીકૃષ્ણ ખુદ ફિલ્મ થકી તમને મળવા આવ્યા હોય, તેવો આભાસ તમને માત્ર થિયેટરોમાં જ થશે. આથી કોઈ મોબાઈલમાં આ ફિલ્મ ના જુએ. આ ફિલ્મ ભલે ગુજરાતની નંબર વન બની હોય, પરંતુ અમે લોકો માત્ર નિમિત્ત છીએ. સાચો ડિરેક્ટર તો કાળિયો ઠાકર છે.
