Vadodara: પશ્ચિમ બંગાળમાં પ્રચંડ વિજય બાદ PM મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ, 11 મેના રોજ વડોદરામાં ભવ્ય રોડ શૉ યોજી શકે

11 મેના વડાપ્રધાન સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે. જ્યાંથી સીધા વડોદરા આવશે, જ્યાં PM મોદીને સરદાર ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 May 2026 12:02 AM (IST)Updated: Wed, 06 May 2026 12:02 AM (IST)
after-bengal-victory-pm-modis-first-gujarat-visit-on-may-11-grand-roadshow-expected-in-vadodara
HIGHLIGHTS
  • PM મોદી વડોદરામાં 'સરદારધામ 3'નું લોકાર્પણ કરશે

Vadodara: પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન મોદી આગામી 11 મેના રોજ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેના કારણે રાજકીય ગલિયારાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. PM મોદીના પ્રવાસના કેન્દ્રસ્થાને વડોદરા શહેર રહેશે, જ્યાં તેઓ પાટીદાર સમાજના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરશે.

જામનગરથી સોમનાથ અને પછી વડોદરા

નિશ્ચિત કાર્યક્રમ મુજબ, વડાપ્રધાન 10 મેના રોજ રાત્રે જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 11 મેની સવારે તેઓ સોમનાથ જશે, જ્યાં ભગવાન સોમનાથના દર્શન કર્યા બાદ 'સ્વાભિમાન પર્વ'માં હાજરી આપશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ સીધા વડોદરા પહોંચશે.

વડોદરામાં રૂ. 150 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ

વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે અંદાજે રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સરદારધામ સંકુલ’ (સરદારધામ-3) નું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ સંકુલમાં 2,000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ, આધુનિક ઈ-લાઈબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ટ્રેનિંગ સેન્ટરની સુવિધા છે. આ પ્રસંગે વડાપ્રધાનને 'સરદાર ગૌરવ પુરસ્કાર' થી નવાજવામાં આવશે.

રોડ શો અને સુરક્ષા વ્યવસ્થા

વડોદરા એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાય તેવી પ્રબળ શક્યતા છે. આ કાર્યક્રમમાં અંદાજે 30 થી 40 હજાર લોકો ઉમટી પડે તેવો અંદાજ છે. બંગાળની જીતનો જશ્ન અને સામાજિક ગૌરવના આ સંગમ માટે વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા અને ટ્રાફિક પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકોમાં મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓએ તૈયારીઓની સમીક્ષા કરી છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય બાદ મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે. 11 મેના રોજ સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ' અને વડોદરામાં 'સરદારધામ-3'નું લોકાર્પણ કરશે ત્યારે વડોદરામાં એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થઈ શકે છે.