Surendranagar: ન્યાયની માંગ સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી, રાજકોટ બાયપાસ હાઈવે પર ચક્કાજામ કરી વાહનવ્યવહાર ખોરવી દીધો

વઢવાણમાં સરેઆમ છરીના આડેધડ ઘા ઝીંકીને યુવતીની હત્યાને લઈને જનાક્રોશ ભભૂક્યો. રોષે ભરાયેલી મહિલાઓની ન્યાય ના મળે, ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની ચીમકી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 21 May 2025 10:27 PM (IST)Updated: Wed, 21 May 2025 10:27 PM (IST)
surendranagar-news-women-protest-for-justice-in-wadhwan-girl-murder-case
HIGHLIGHTS
  • સુરેન્દ્રનગર-ભાવનગર રેલવે ટ્રેક પર પહોંચીને ટ્રેન રોકવાનો પ્રયાસ

Surendranagar: સુરેન્દ્રનગરમાં 19 વર્ષીય યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા કરવાના મામલે જનાક્રોશ ભભૂકી ઉઠ્યો છે. એવામાં ન્યાયની માગં સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. જેમણે સુરેન્દ્રનગર-રાજકોટ બાયપાસ હાઈવે પર ચક્કાજામ કરીને વાહન વ્યવહાર ખોરવી નાંખ્યો હતો.

થોડા દિવસ અગાઉ વઢવાણમાં છરીના ઉપરા-છાપરી 15 જેટલા ઘા ઝીંકીને યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં હત્યારા આરોપી વિરુદ્ધ કડક પગલા ભરવામાં આવતા ના હોવાના મુદ્દે મહિલાઓ રોષે ભરાઈ હતી. જ્યાં સુધી ન્યાય ના મળે, ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારીને મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવેલી મહિલાઓએ હાઈવે બ્લોક કરી દીધો હતો. જેના પરિણામે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આટલું જ નહીં, વઢવાણ નજીક સુરેન્દ્રનગર-ભાવનગર રેલવે ટ્રેક પર પહોંચીને મહિલાઓ દ્વારા ટ્રેન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસની હાજરીમાં જ 'આરોપીઓને ફાંસી આપો'ના સુત્રોચાર કરીને છાજીયા કૂટ્યા હતા

આંદોલકારી મહિલાઓએ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને તેમને કાયદાનું ભાન કરાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, વઢવાણમાં મહિલાઓ સુરક્ષિત નથી. છેડતી અને મહિલાઓની સતામણીની ઘટનાઓ સતત બની રહી છે. સ્વમાન માટે મહિલાઓને રસ્તા પર ઉતરવું પડે છે, ત્યારે આવા આવારા તત્વોને પાઠ ભણાવવાની જરૂર છે.

આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રૂ. 40 લાખ ભરેલો થેલો લૂંટીને ફરાર, એલિસબ્રિજ જિમખાના પાસે બે શખ્સોએ રિક્ષા રોકીને બે કર્મીની આંખમાં મરચું નાંખ્યું, લૂંટારું એરગનથી બે રાઉન્ડ ફાયર કર્યું, રૂ. 25 લાખનો થેલો બચી ગયો