Surendranagar News: ગુજરાતના મોટા શહેરો સુધીમાં એસટી બસો દોડે છે. પરંતુ ઘણા એવા પણ ગામો છે. જ્યાં કાં તો એસ.ટી બસો જતી નથી અથવા તો ત્યાં કોઈ રુટ ફાળવાયો નથી. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામ એસ.ટી બસની સુવિધાથી વંચિત રહ્યું છે. આશરે દસેક હજારની વસ્તી ધરાવતા સરા ગામના લોકોને જિલ્લા મથકે પહોંચવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સરા ગામ એસ.ટી સુવિધાથી વંચિત
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળી તાલુકાના સરા ગામે રહેતા ગ્રામજનોને સમયસર એસ.ટી બસો સમયસર ન મળવાથી ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. જિલ્લા મથક સુરેન્દ્રનગર સુધી જવા માટે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે એક જ એસ.ટી બસ મળતી. પરંતુ આ બસ સેવા પણ બંધ થઈ જતાં ગ્રામજનોની હાલત અત્યંત કફોડી બની ગઇ છે.
ગ્રામજનોએ અનેકવાર કરી રજૂઆત
સરા ગામથી સુરેન્દ્રનગર સુધી જવા માટે ગ્રામજનોએ મોંઘા ભાડા ચૂકવીને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. સરા ગામથી સુરેન્દ્રનગર સુધી જવા માટે ગ્રામજનોએ ધારાસભ્ચ દ્વારા એસ.ટી વિભાગને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે. તેમ છતાં આ સમસ્યાનો નિરાકરણ આવ્યું નથી. સરા ગામથી વીરપુર જવાના રસ્તા પર લાખોના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ બનાવાયું છે. પણ બસની સુવિધા જ નથી.
સરા ગામવાસીઓએ માગણી ઉઠાવી
સુરેન્દ્રનગર જિલ્લામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, સારવાર માટે આવતા દર્દીઓ, વૃદ્ધોને આ અંગે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી. એસટી વિભાગ સરા, રાજકોટ અને હળવદના નવા રુટ ફાળવે તેવી સરા ગામવાસીઓએ માગણી ઉઠાવી છે.
