Surat: સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષ સ્થાને પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સંચાલિત ‘ફોર્ચ્યુન સૂપોષણ લોન્ચ' કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલની વિશેષ ઉપસ્થિતિમાં અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પંચાયતની ICDS શાખા વચ્ચે 'સૂપોષણ લોન્ચ' અભિયાનના MOU થયા હતા.
જેનો મુખ્ય ઉદ્દેશ CSR ફંડ થકી અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતની ICDS શાખાના સહયોગથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં મુખ્યત્વે શૂન્યથી 5 વર્ષના બાળકો, કિશોરીઓ અને મહિલાઓમાં કુપોષણ ઘટાડવાનો છે.
જે માટે આ પ્રોજેક્ટ હેઠળ ચાર વર્ષ દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓ સાથે મળીને સ્થાનિક મહિલાઓને સુપોષણ સંગિની તરીકે ટ્રેનિંગ આપવામાં આવશે. તેમના દ્વારા એન્થ્રોપોમેટ્રી માપન, કૌટુંબિક પરામર્શ, જુથ ચર્ચા, કિચન ગાર્ડન વિકસાવવા, વોશ બાસ્કેટ અને સ્તનપાન સહિતની પ્રથાઓને મજબૂત બનાવવાના કાર્યો કરવામાં આવશે.આ પ્રસંગે હાજર જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે,તંદુરસ્ત સમાજ માટે કુપોષણ અને એનિમિયા જેવી બિમારીઓ અભિશાપરૂપ છે.
તેને નાબુદ કરવા ચાલી રહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને ‘સુપોષણ અભિયાન’ સફળ બનાવવામાં મદદરૂપ બનશે.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે,આ અભિયાન થકી સુપોષણ સંગિની ગામની મહિલાઓની મિત્ર બની મહિલાઓ અને બાળકોના સુસ્વાસ્થ્ય માટે કાર્ય કરી તેઓને કુપોષણથી સુપોષણ તરફ લઈ જશે. જે દેશના વડાપ્રધાનના પોષણયુક્ત ભારતના મિશનને સાકારિત કરવાની દિશામાં અગત્યનો ભાગ ભજવશે.
આ પ્રોજેક્ટ અન્વયે આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓ સાથે મળી બાળકો, મહિલાઓ અને કિશોરીઓના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી સુપોષિત સુરતનું સ્વપ્ન સાકાર કરવામાં ઉપયોગી નીવડશે. આ અવસરે અદાણી હજીરા પોર્ટના CEO નીરજ બંસલે જણાવ્યું હતું કે, કોર્પોરેટ સંસ્થા , સમાજ અને સરકાર સાથે મળીને આ પ્રોજેકટમાં કામ કરશે. આ પ્રોજેકટ સહભાગિતા થકી સમાજ ઉત્થાનમાં સહયોગ બનશે તેવી અભિલાષા તેમણે વ્યકત કરી હતી. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ.પ્રીતિ અદાણી અને અદાણી વિલ્મરના સીઈઓનો સંદેશ અને પ્રોજેકટની માહિતી અદાણી ફાઉન્ડેશનમાં આરોગ્ય અને પોષણ વિભાગના વડા વિવેક યાદવે આપી હતી.