Surat: રાજ્ય સહિત સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ અનુસાર, ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે.
ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા કટિબદ્ધ છે. સુરત જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા તા.29મી ઓકટોમ્બરથી જ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ડાંગર, સોયાબીન, મકાઈ, જુવાર, શાકભાજી સહિતના પાકોને ભારે નુકશાન થયું છે.
સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામીતે વિગતો આપતા જણાવ્યું કે, સુરત જિલ્લામાં ઓક્ટોબર-2025 માસમાં કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકોને નુકશાન થયું છે. સુરત જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 596 ગામો(સુરત સીટી વિસ્તાર સહિત) 16 તાલુકાઓનો 39,652 હે.વિસ્તાર અસરગ્રસ્ત જાહેર થયો છે. જેનો 100 ટકા સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં 24362થી વધુ ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે.
જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા કુલ 95 ટીમો દ્વારા 350 સર્વેયરો દ્વારા કામગીરી પુર્ણ કરવામાં આવી છે. આ રિપોર્ટ સરકારને સત્વરે મોકલી દેવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી. જેમાં સૌથી વધુ ડાંગરના પાકને 35897 હેકટર અસરગ્રસ્ત વિસ્તાર, સોયાબીનના 1521 શાકભાજીના 2487 હેકટર, મકાઈ 703, શેરડીના 1481 હેકટર, જુવારના 61 હેકટર તથા અન્ય પાક અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે પુર્ણ કરવામાં આવ્યો છે.
