Surat Tiranga Yatra: રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે આગામી 13 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગે વાય જંકશનથી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જેમાં મંત્રીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
ભવ્ય તિરંગા યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા-કોલેજો- યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ, ઈન્ડસ્ટ્રીઝ પ્રતિનિધિઓ, જી.આઈ.ડી.સી., ડાયમંડ, સી.એ. સહિતના વિવિધ એસોસિએશેનો, ધાર્મિક સંસ્થાઓ, રમતવીરો, યુવા-મહિલાશક્તિની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા પર કલેકટરએ ભાર મૂક્યો હતો.
શહેર-જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ, સામાજિક સંસ્થાઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો અનુરોધ કલેક્ટરએ કર્યો હતો.
નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુ સાથે યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તા.૧૭મી ઓગષ્ટ સુધી સમગ્ર શહેર-જિલ્લાના મહત્તમ નાગરિકોને સાંકળી લઈ વિશાળ જનભાગીદારી નોંધાવવા અને તિરંગાના માન-સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય તેની તકેદારી રાખવાનો અનુરોધ કલેક્ટરએ કર્યો હતો.
