Surat Suicide: શહેરના વરાછા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ દહેજભૂખ્યા સાસરિયાઓના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતક પરિણીતાના પતિ સહિતના સાસરિયાઓ સામે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે મૃતકના જેઠને મધ્ય પ્રદેશ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બલબીરસિંહ કુશવાહની દીકરીએ ગત 27 ફેબ્રુઆરી, 2026ના રોજ વરાછા સ્થિત જવાહરનગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતુ. આ મામલે વરાછા પોલીસ મથકમાં આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
'તારા ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી'
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક રીતુને તેના પતિ લક્ષ્મીનારાયણ કુશવાર, સસરા મુરલીધર કુશવાહા, સાસુ કમલેશ દેવી, જેઠ સતિષ અને નણંદ અંકિતા ઉર્ફે રિકી દ્વારા 8 મહિનાથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવો હતો.
સાસરિયાઓ રીતુને 'તારા ઘરેથી દહેજમાં કંઈ લાવી નથી' તેમ કહીને અવાર-નવાર મેણા-ટોણા મારીને સતત જુલમ ગુજારતા હતા. સાસરિયાઓ દ્વારા રીતુ પાસે 2 લાખ રૂપિયાનું દહેજ માંગવામાં આવતું હતુ. દહેજ ભૂખ્યા સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આખરે રીતુએ અંતિમ પગલું ભર્યું હતુ.
આ મામલે મૃતક રીતુના પિતાની ફરિયાદના આધારે વરાછા પોલીસે અગાઉ તેના પતિ લક્ષ્મીનારાયણ કુશવાહને ઝડપી પાડ્યો હતો. જ્યારે જેઠ સતિષ બનાવ બાદથી નાસતો ફરતો હતો. આખરે 3 મહિના બાદ આરોપી જેઠની મધ્ય પ્રદેશના મુરેના જિલ્લાા ગોસપુર ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
