Surat Ragging Case: સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત પ્રકરણમાં આજે ડો. અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાના પર લાગેલા રેગિંગના લાગેલા આક્ષેપો ફગાવ્યા હતા.
સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ ખટોદરા પોલીસે ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપી સિનિયર ડોક્ટરોને નોટિસ ફટકારી હતી. જેમને પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો હતો.
આ નોટિસની મુદતના બીજા દિવસે ચાર પૈકી એક ડો.અનુજ મહેશ્વરી પોલીસ મથકે હાજર થયા હતા અને તપાસ અધિકારી સમક્ષ પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવ્યું હતું. જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં ડો.અનુજે 9 જુનિયર વિદ્યાર્થીઓને રૂમમાં બંધ રાખવાના આરોપોને પણ નકાર્યા હતા.
ડો. અનુજએ જણાવ્યું કે, રેગિંગના જે આરોપો લગાવ્યા છે તે પાયા વિહોણા છે. મને કઈ ખબર નથી અને મેં ક્યારેય રેગિંગ કર્યું નથી. મને ન્યાય તંત્ર પર પૂરો વિશ્વાસ છે કે, તે મને સાચો ન્યાય આપશે.
વધુમાં જણાવ્યું હતું કે, રેગિંગનો શબ્દ જ હટાવી દો, રેગિંગનો શબ્દ જ ખોટો છે. ન્યાય તંત્ર નક્કી કરશે કે રેગિંગ થયું છે કે નહીં? સૂચના આપવાને રેગિંગ ન કહી શકાય, હર્ષ પંડ્યાના આપઘાતને લઈને અમે બધા શોકમાં છીએ કે તેણે આ પગલું ભરી લીધું છે પણ તેના અનેક કારણો હોઈ શકે છે, બાકી ન્યાય તંત્ર નક્કી કરશે.
