નરેન્દ્ર આહીર, Rajkot News: શ્રાવણ માસ નિમિતે ફારાળી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો વેંચતા વેપારીઓને ત્યા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી છે.
બે દિવસમાં 13 સ્થળે દરોડા પાડવામા આવ્યા હતા. ચેકીંગ દરમિયાન જે જગ્યાએ ફરાળી ચેવડો, પેટિસ કે અન્ય સામગ્રીમાં શંકા જણાતી હોય તેવી 13 પેઢીમાંથી નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપવામા આવ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખાદ્ય સામગ્રીની ચેકીંગ ઝૂંબેશ કડક રીતે ચાલુ રાખવા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાની સુચનાથી આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ ફૂડ શાખાને આદેશ આપ્યો છે.
શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે.
ફરસાણ, ડેરી સહિત ફરાળી પેટિસની 13 દુકાન ઉપરાંત અન્ય ખાણીપીણીના વેપારીઓ સહિત કુલ મળી 77 પેઢીની તપાસ કરવામાં આવી હતી. એ દરમિયાન કુલ મળી અંદાજિત 98 કિલો અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 08 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ
આ દરમિયાન ખાણીપીણીના અન્ય ધંધાર્થીઓમાં પેશુંમલ ચેલારામ કંપની, શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, ઝેડ-1 મદ્રાસ કાફે, ટાઇની ટેસલ એન્ટરપ્રાઇ(બર્ગર સીંઘ), ટ્રીટસ ઇટસ, જય સોમનાથ ફૂડ ઝોન, શ્રી રાધે ડેરી ફાર્મ, એન્જલ ચાઇનીઝ એન્ડ પંજાબી, શિવ કાફે, વિકફૂડ પ્રા.લી., વેરાઇ પરોઠા હાઉસ, દરબાર ડાઇનીંગ હોલ સહિતના સ્થળેથી વિવિધ ખાદ્યસામગ્રીના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
ફરાળી લોટની કિંમત કિલોના રૂા.100, તેમા ભેળસેળ માટે વપરાતા લોટની કિંમત રૂ.20
ફરાળી લોટમાં રાજગરો, સામો, મોળિયો હોય છે. તેની એક કિલોની કિંમત રૂ.100 આસપાસ છે. જ્યારે ફરાળી લોટમાં ભેળસેળ થતી હોય તેવી જણસીમાં ઘંઉ, મકાઇનો લોટ વધુ પડતો મિશ્રણ કરી દેવામા આવે છે. ઘંઉ અને મકાઇના એક કિલો લોટની કિંમત રૂ.20 થી 25 જ હોય છે. આમ સસ્તા ભાવના લોટની ભેળસેળ ફરાળી લોટમાં કરવામા આવે છે.
