Surat suicide news: સુરત જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હચમચાવી મુકનાર ઘટના સામે આવી છે. માંગરોળ તાલુકાના ધામદોડ રોડ પર આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના 9 મા માળેથી એક 19 વર્ષીય વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ઝંપલાવીને આપઘાત કરી લીધો છે.
મૃતક આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાનો વતની
આ પણ વાંચો
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીનું નામ પેન્ડલા પવનકુમાર રામાનાઈડુ હતું, અને તે મૂળ આંધ્રપ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાનો વતની હતો. પેન્ડલા પવનકુમાર સુરતની પી.પી. સવાણી યુનિવર્સિટીમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો, અને કેમ્પસમાં જ આવેલી બોયઝ હોસ્ટેલમાં રહેતો હતો. તેણે હોસ્ટેલ બિલ્ડીંગના 9માં માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો.
આપઘાતનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ
વિદ્યાર્થીને અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આશાસ્પદ વિદ્યાર્થીએ આટલું મોટું અંતિમ પગલું કેમ ભર્યું અને તેની પાછળનું શું કારણ હતું, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. બનાવની જાણ થતાં જ કોસંબા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આ મામલે વધુ સઘન તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા મૃતક વિદ્યાર્થીના આંધ્રપ્રદેશ સ્થિત પરિવારજનોને આ ગોઝારી ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે, અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક યુવાન વિદ્યાર્થીના આકસ્મિક નિધનની આ ઘટનાને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ભારે શોક અને ગમગીનનો માહોલ છવાઈ ગયો છે.
