Surat: શહેરના ઉમરા-વેલંજા ખાતે એક કળયુગી પુત્રએ પોતાની 65 વર્ષીય વૃદ્ધ માતાને ઘરમાં જ ગોંધી રાખી હતી. આ બાબતની જાણ થતાં ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પહોંચી હતી અને પોલીસની મદદથી વૃદ્ધાનું રેસ્ક્યુ કરીને તેમને વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના ઉમરા-વેલંજા ખાતેની એક સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને તેમને પુત્ર અને પુત્રવધુ ઘરના પેસેજમાં પુરીને બીજી જગ્યાએ રહેવા જતાં રહ્યા હતા. જ્યાં પાડોશીઓ નિયમિત વૃદ્ધાને જમવાનું પહોંચાડતા હતા.
બીજી તરફ આ બાબતની જાણ થતા વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ પણ સોસાયટીમાં આવી પહોંચી હતી. તેમણે જોયું કે, દાદીને જેલમાં પુરી દીધા હોય તેમ રાખવામાં આવ્યા હતા. દાદીની દયનીય હાલતને જોતા ટ્રસ્ટની ટીમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આખરે ટ્રસ્ટના કાર્યકરો વૃદ્ધાની વ્યવસ્થિત કાળજી માટે તેમને વૃદ્ધાશ્રમ લઈ ગઈ હતી.
આ બાબતે વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાએ જણાવ્યું કે, 65 વર્ષીય હેમલતા બા ઉમરા-વેલંજા સ્થિત શિરડીધામ સોસાયટીમાં રહેતા હતા. છેલ્લા એક મહિનાથી તેમને પુત્ર અને પુત્રવધુ તેમને ઘરમાં પુરીને બીજે રહેવા જતાં રહ્યા હતા. પાડોશીઓને તેની દયા આવતા અમને જાણ કરી હતી. જેથી અમારી ટીમ અહીં આવી પહોંચી હતી.
અમે જોયું તો બાને જેલમાં પૂર્યા હોય તેવી હાલતમાં હોવાથી પોલીસને જાણ કરવામાં આવી. જે બાદ લોક ખોલાવીને હાલ બાને સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં લઈને આવ્યા છીએ.
કળિયુગમાં શ્રવણ બનવાના બદલે માતાને તરછોડવાની આ ઘટનાએ ફરી એકવાર સભ્ય સમાજમાં માતા-પિતા પ્રત્યેની ફરજ અને સંવેદના અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
