સુરતમાં બેવડી ઋતુનો મારઃ વાયરલ ઈન્ફેક્શનના કેસમાં મોટો ઉછાળો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી

સિવિલ હોસ્પિટલની 7 OPDમાં દરરોજ 700 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 03 Nov 2025 07:50 PM (IST)Updated: Mon, 03 Nov 2025 07:50 PM (IST)
surat-news-viral-infection-patients-increase-due-to-double-season-long-que-at-civil-hospital
HIGHLIGHTS
  • 250 દર્દીઓ માત્ર વાયરલ તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલટીના કેસ

Surat: શહેરમાં તાજેતરમાં વરસેલા કમોસમી વરસાદ અને દિવસ દરમિયાન પડી રહેલા આકરા તડકાને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના લીધે સુરતીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી છે. હવામાનમાં આવેલા આ અચાનક પલટાને કારણે વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
સ્થિતિ એટલી ગંભીર બની છે કે, સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલની સાત OPDમાં દરરોજ સરેરાશ 700 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આ કુલ દર્દીઓમાંથી લગભગ 250 જેટલા દર્દીઓ માત્ર વાયરલ તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઊલટીના કેસ ધરાવતા નોંધાયા છે.

સવારના સમયથી જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સૌથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી આવતા શ્રમિકોની સંખ્યા વિશેષ પ્રમાણમાં છે.

લોકોને તકેદારી રાખવા માટે ડોક્ટરો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે:

  • ખોરાક: બહારનો ખુલ્લો ખોરાક અને વાસી ખોરાક લેવાનું ટાળો.
  • પાણી: પીવાના પાણીને ઉકાળીને અથવા ફિલ્ટર કરીને પીવાનો આગ્રહ રાખો.
  • સારવાર: શરદી, ઉધરસ કે તાવના લક્ષણો જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો અને જાતે દવા લેવાનું ટાળો.
  • મચ્છરજન્ય રોગો: ભેજવાળા વાતાવરણમાં મચ્છરજન્ય રોગોથી બચવા માટે પણ પૂરતી સાવચેતી રાખો.