Surat News: દક્ષિણ ગુજરાતના સુરતમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત “ધ નેક્સ્ટ એરા ઑફ ન્યુક્લિયર એનર્જી” વિષયક મહત્વપૂર્ણ પેનલ ચર્ચા યોજાઈ હતી. ઓરો યુનિવર્સિટીમાં યોજાયેલા આ સત્રમાં ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રના વિકાસ, નીતિગત સુધારાઓ અને ભવિષ્યની દિશા પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું.
સત્રમાં અગ્રણીઓએ ચર્ચા કરી
આ સત્રમાં ડૉ. કે. એન. વ્યાસ, અનિલ વી. પરબ, એ. પી. સામલ, ડૉ. કોમલ કપૂર, એસ. કે. માલવિયા અને પ્રોફેસર સુનીત સિંહ જેવા ક્ષેત્રના અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચર્ચાનું સંચાલન શુભા રહા દ્વારા કરવામાં આવ્યું હતું. બીજા સત્રમાં જય વિનાયક ઓઝા, ડૉ. કલિરાજન એસ., રામાદુરાઇ રાઘવન, ડૉ. એસ. શામસુંદર અને વિવેક શર્મા સહિતના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
ભારતનું વીજ ઉત્પાદન ક્ષમતામાં 3 યોગદાન
ભારત હાલમાં તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા માંથી લગભગ 3 ટકા યોગદાન આપતી પરમાણુ ઊર્જાને 2047 સુધીમાં 100 ગીગાવોટ સુધી વિસ્તૃત કરવાનો લક્ષ્ય ધરાવે છે. આ દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા ન્યુક્લિયર એનર્જી મિશન તથા SHANTI એક્ટ, 2025 મહત્વપૂર્ણ પગલા તરીકે ઉલ્લેખાયા હતા. આ કાયદો ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપીને રોકાણકાર વિશ્વાસ વધારવા તથા નિયમનાત્મક માળખાને મજબૂત બનાવે છે.
ચર્ચામાં પડકારોને ઉકેલવા પર ભાર મૂક્યો
ચર્ચામાં ઉદ્યોગ, નીતિ અને ટેક્નોલોજીના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. તેઓએ ન્યુક્લિયર પ્રોજેક્ટ્સ માટે ઊંચા મૂડી ખર્ચ, નાણાંકીય મર્યાદાઓ, વેસ્ટ મેનેજમેન્ટ અને જાહેર સ્વીકાર્યતા જેવા પડકારોને ઉકેલવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMRs) જેવી નવી ટેક્નોલોજી અને ખાનગી ક્ષેત્ર સાથેની ભાગીદારીને ભવિષ્ય માટે જરૂરી ગણાવી હતી.
ગુજરાતનું પરમાણુ ઊર્જામાં યોગદાન નોંધનીય છે
ગુજરાતનું યોગદાન પણ નોંધપાત્ર છે. કાકરાપાર ખાતે 700 મેગાવોટના સ્વદેશી રિએક્ટર્સ કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે નવા પ્લાન્ટ માટે સંભવિત સ્થળોની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. રાજ્યની ઊર્જા નીતિમાં પરમાણુ ઊર્જાને ટકાઉ અને વિશ્વસનીય વિકલ્પ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર ચર્ચા ભારતને ઊર્જા સુરક્ષા તરફ આગળ ધપાવતાં અને વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરવા માટે માર્ગદર્શનરૂપ સાબિત થઈ હતી.
