Surat: સુરત શહેરમાં ઉનાળા વેકેશનને લઈને પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 15 હજાર જેટલા મુલાકાતીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી
સુરતના સરથાણા વિસ્તારમાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે. દર વર્ષે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઝૂની મુલાકાત લેતા હોય છે, ત્યારે હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય મોટી સંખ્યામાં મુલાકાતીઓની ભીડ જોવા મળી રહી છે.
છેલ્લા એક અઠવાડિયામાં 15,000 જેટલા મુલાકાતઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. બીજી તરફ ઉનાળુ વેકેશનને લઈ હવે પ્રાણી સંગ્રહાલય સોમવારે પણ ખુલ્લું રહેશે. સામાન્ય દિવસોમાં સોમવારે પ્રાણી સંગ્રહાલયમાં રજા હોય છે.
ઇન્ચાર્જ ઝુ સુપરિટેન્ડન્ટ ડો .રાજેશ પટેલએ જણાવ્યું કે, સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં મુલાકાતીઓનો ઘસારો વધારે રહેતો હોય છે. દર વર્ષે ઉનાળામાં પણ મુલાકાતીઓના સમયમાં ફેરફાર કરતા હોય છે. ચાલુ વર્ષમાં ઝૂ દર સોમવારે બંધ રહેતું હોય છે, પરંતુ વેકેશન દરમ્યાન દર સોમવારે ઝૂ ચાલુ રાખવામાં આવે છે.
ઉનાળુ વેકેશન પણ આગામી 5 તારીખથી શરુ થનાર હોય આવતી 5 તારીખથી દર સોમવારે વેકેશનના સમયગાળા દરમ્યાન પણ ઝૂ મુલાકાતીઓ માટે શરુ રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વિકમાં ટોટલ 15 હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને 4 લાખથી વધુની કોર્પોરેશનને આવક થઇ છે ખાસ કરીને રવિવારના દિવસે મુલાકાતીઓની સંખ્યા વધારે હોય છે ગત રવિવારે સાડા સાત હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને ૨ લાખથી વધુની આવક થઈ હતી
