Surat: સુરતમાં શહેરમાં વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં હજીરાના મોરા ટેકરા ગામમાં રમતા રમતા 3 વર્ષનો બાળક પાણીની ટાંકીમાં પડી જવાથી મોતને ભેટ્યો છે. વ્હાલસોયા બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉતર પ્રદેશના વતની શ્રીરામભાઈ નિષાદ હાલમાં સુરતના હજીરા સ્થિત મોરા ટેકરા તપોવન કોલોની પાસે રહે છે અને પેઈન્ટીગના વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે શ્રીરામભાઈનો 3 વર્ષનો પુત્ર દિવ્યેશ ઘર પાસે રમી રમ્યો હતો અને રમતા રમતા તે ઘર પાસે આવેલી પાણીની ટાંકીમાં પડી ગયો હતો. થોડા સમય બાદ પુત્ર ના દેખાતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પાણીના ટાંકામાં પુત્ર તરતો મળી આવ્યો હતો. આથી તાત્કાલિક દિવ્યેશને બહાર કાઢીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
આ સમગ્ર મામલે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જે સ્થળે પાણીની ટાંકી આવેલી છે, ત્યાંથી રસ્તો પણ પસાર થઈ રહ્યો છે. જ્યારે ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતુ. આથી રમતા-રમતા દિવ્યેશ આ ખુલ્લી ટાંકીમાં ખાબક્યો હશે.
