Surat: દક્ષિણ ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસના ત્રીજા દિવસે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સુરત જિલ્લાના મહુવા ખાતે વિશાળ ‘બુથ કાર્યકર્તા સંમેલન‘ યોજાયું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, વિપક્ષના નેતાઓ પ્રજાના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે અફવાઓ ફેલાવવાનું અને સંસદ બહાર માત્ર વિરોધ કરવાનું કામ કરે છે. તેમણે તાજેતરમાં LPG અંગે કોંગ્રેસ દ્વારા ફેલાવાઈ રહેલી અફવાઓ તેમજ સંસદમાં પ્રજાની ચિંતા કરવાના સ્થાને સંસદના પગથિય બેસી ચા- બિસ્કીટ ખાવાની ઘટનાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
કોંગ્રેસના 60 વર્ષના શાસનને ‘4-ક’ (કોંગ્રેસ એટલે કરપ્શન, કમિશન, કમ્યુનલ રાયોટ્સ અને ક્રિમિનલ પોલિટિક્સ) તરીકે ઓળખાવ્યું હતું. તેની સામે ભાજપે જનતાને ‘ન જાતિવાદ, ન પરિવારવાદ, ન તૃષ્ટીકરણ’ સાથેનું ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે.
ભાજપનો કાર્યકર્તા માત્ર ચૂંટણી ટાણે જ નહીં પણ સતત પ્રજાની વચ્ચે રહીને સેવા કરે છે. વિકસિત ભારત 2047નું સપનું સાકાર કરવા માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો દરેક કાર્યકર્તા કમર કસી રહ્યો છે. આજે ગુજરાત અને દેશની જનતા માટે ભાજપ એટલે ‘વિકાસનો પર્યાય’ અને ‘ભરોસાનું નામ’ છે.
સુરતની ઐતિહાસિક વિરાસતને યાદ કરતા જણાવ્યું કે, સુરત સદીઓથી ભારતનું વ્યાપારી બંદર રહ્યું છે અને અહીંના લોકોના સાહસિક વેપારની વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. છેલ્લા 10 વર્ષમાં આ વિધાનસભા વિસ્તારમાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે 76 જેટલા નાના-મોટા પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સામ્બા થી આસ્થાના કેન્દ્ર બ્રહ્મદેવ મંદિર સુધી પહોંચવા માટે પણ નવા પુલનું કામ પ્રગતિમાં છે. રૂ.376 કરોડના ખર્ચે બારડોલીથી અનાવલ ફોરલેન રસ્તાનું નિર્માણ અને નાલોઠા ખાતે રૂ. 51 કરોડના ખર્ચે આદિવાસી આદર્શ નિવાસી શાળા જેવી સુવિધાઓએ આ વિસ્તારની કાયાપલટ કરી છે.
PM મોદીએ ગુજરાતમાં જાતિવાદ અને પ્રાંતવાદને જાકારો આપીને 'વિકાસની રાજનીતિ'ની જે ભેટ આપી છે, તેના ફળસ્વરૂપે જ આજે કચ્છથી ડાંગ સુધી સર્વાંગી વિકાસ થયો છે. સમગ્ર દેશમાં અમૂલ અને સુમુલનું સહકારી મોડલ વખણાય છે, જેની 150થી વધુ પ્રોડક્ટ્સ આજે વિદેશોમાં પણ નિકાસ થાય છે.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેમને પોતાના પાકના ઉત્તમ ભાવ મળે તે માટે PM મોદી, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર સતત કાર્યરત છે. ખેડૂતોને ઉત્પાદનના વેચાણની ચિંતા ન રહે અને આર્થિક સમૃદ્ધિ મળે તે જ સરકારની પ્રાથમિકતા છે.
ગરીબો માટે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર, પીએમ કિસાન સન્માન નિધિ અને આદિવાસી વિસ્તારોમાં મિલેટ્સ (નાગલી) નું માર્કેટિંગ જેવા કાર્યોએ જનતાનો ભરોસો જીત્યો છે. વધુમાં, અનુસૂચિત જાતિ વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરીને ભાજપ સરકારે મધ્યમ અને ગરીબ વર્ગના સંતાનોના ઉચ્ચ અભ્યાસની ચિંતા કરી છે.
