Surat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગામી 5 વર્ષ માટે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વખત શહેરી તેમજ ગ્રામીણ ક્ષેત્રે આ સેક્ટરમાં કાર્યરત સ્વ સહાય જૂથોને સાંકળવામાં આવ્યા છે. આ પૉલિસીને આવકારતા સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ નવી ટેક્સ ટાઈલ નીતિ જાહેર કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. આ સાથે જ સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે પણ આવી જ પૉલિસી જાહેર કરવાની માંગ કરી છે.
ધારાસભ્ય કિશોર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું કે, ટેક્સ ટાઈલ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ માટે નવી નીતિ જાહેર કરવા બદલ ખુબ ખુબ અભિનંદ. ટેક્સ ટાઈલની નવી પોલીસીથી રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળશે અને આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નવી રોજગારીનું સર્જન થશે. ટેક્સ ટાઈલ ક્ષેત્રે નવા રોકાણો પણ આવશે. જેથી ગુજરાત વિકાસની નવી કેડી કંડારશે.
જો કે છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ ઉદ્યોગ મંદીના કારણે ખૂબ જ કપરા સમયનો સામનો કરી રહ્યો છે. ટેક્સ ટાઈલ ઉદ્યોગ પછી ગુજરાતમાં રોજગારી આપતો ઉદ્યોગ એટલે ડાયમંડ ઉદ્યોગ છે. હાલમાં ભયંકર મંદીના કારણે ઘણા યુનિટોને બંધ કરવાની નોબત આવી છે. જેના કારણે હીરા ઉદ્યોગમાં કારીગરોને છૂટા કરી દેવાનું પ્રમાણ ઘણું વધી ગયેલ છે. જેથી રત્નકલાકારો બેકારીને કારણે હાલ ખુબ જ મુશ્કેલીનો સમય પસાર કરી રહેલ છે. તેઓના બાળકોના સ્કૂલોની ફી અને અને પોતાના કુટુંબના ભરણપોષણ ન કરી શકવાના કારણે રોજબરોજ આત્મહત્યાના કિસ્સાઓનુ પ્રમાણ વધતું જાય છે.
જેથી મૃતપાયે પડેલા ડાયમંડ ઉદ્યોગને મંદી માંથી બહાર લાવવા માટે જેવી રીતે ટેક્સ ટાઈલ ઉદ્યોગના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા નવી પોલીસી જાહેર કરવામાં આવી છે. તેવી જ રીતે ડાયમંડ ઉદ્યોગ માટે પણ પોલીસી જાહેર કરવામાં આવે તેવી મારી માંગણી છે.
