Surat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાને સ્થાનિક ચૂંટણીમાં સુરતથી ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે.
આ અંગે AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે મેદાને છે. જેમ શરૂઆતના પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી હતી, તેમ હવે પણ લોકોમાં વિશ્વાસ વધ્યો છે.
શરૂઆતમાં જ્યારે પહેલું લિસ્ટ જાહેર થયું ત્યારે સેકડો ફોન આવ્યા હતા કે આ વખતે સુરતમાં આમ આદમી પાર્ટીના મેયર બનવાના છે અને મજબૂત ઉમેદવારો ઉતારવા જોઈએ. લોકોમાં જે આશા છે તે આમ આદમી પાર્ટી પર છે, કારણ કે પાર્ટી ભણેલા, ગણેલા, હોશિયાર, મહેનતુ, વફાદાર અને લોકોના કામ કરનારા ઉમેદવારો પસંદ કરી રહી છે.
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે સુરતમાંથી મોટી સંખ્યામાં ફોન આવી રહ્યા હતા અને લોકોની માંગ હતી કે મજબૂત લીડરશિપમાંથી કોઈને ઉમેદવાર બનાવવો જોઈએ. આથી અરવિંદ કેજરીવાલ સહિત પ્રદેશની આખી ટીમે નક્કી કરીને મજબૂત નેતા મનોજભાઈ સોરઠીયાને સુરતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો છે.
સુરતની જનતા પણ મનોજભાઈ સોરઠીયાને ઉમેદવાર તરીકે જોવા ઈચ્છતી હતી. મનોજ સોરઠિયાના નામની જાહેરાત એક માસ્ટરસ્ટ્રોક સાબિત થશે. પાર્ટીએ ભણેલા, ગણેલા અને 2012થી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ પાર્ટીને મજબૂત રાખનારા સંગઠનના માહિર નેતા મનોજભાઈ સોરઠીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેમને ઉમેદવાર તરીકે જાહેર કરતા આનંદ અનુભવું છું અને તેમને અભિનંદન પાઠવું છું. સુરતની જનતા હવે સારા સુશાસનની અપેક્ષા રાખે છે.
વિપક્ષ તરીકે છેલ્લા પાંચ વર્ષમાં પાર્ટીએ સારું કામ કર્યું છે અને હવે જો જનતા સત્તા આપશે તો સુરતને વધુ સુંદર બનાવવા માટે ટીમ મજબૂતાઈથી કામ કરશે તેવી આશા વ્યક્ત કરું છું. મનોજભાઈને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
