Ahmedabad: ગુજરાતમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વીતેલા 4 કલાકમાં રાજ્યના 37 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. એવામાં અમદાવાદ સ્થિત હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ નાઉકાસ્ટ બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાને જોતા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ અને પંચમહાલ. દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ અને નર્મદા, અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, સુરત, તાપી અને મહેસાણા ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
આ 17 જિલ્લાઓમાં 3 કલાક દરમિયાન પવનની મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાક (ઝટકા સાથે)થી ઓછી રહેવાની ધારણા છે. તેમજ આકાશમાંથી વીજળી પડવાની સંભાવના ઘણી ઓછી છે.
આ નાઉકાસ્ટમાં જણાવ્યા મુજબ, રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ શકે છે. હવામાન વિભાગે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનથી દૂર રહેવા અને વીજળીથી બચવા યોગ્ય સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને ખેડૂતોને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવાની સલાહ આપવામાં આવી છે.
