Surat: સુરતમાં રહેતો યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. જેમાં લગ્ન સમયે યુવક પાસેથી રૂ. 2 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જ્યારે લગ્નના 10 દિવસ બાદ પત્ની દાગીના લઈને પિયર જતી રહી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતમાં રહેતો 41 વર્ષીય યુવક એમ્બ્રોઈડરીના કારખાનામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તે વર્ષ 2025માં શાદી ડૉટ કોમ એપ્લિકેશન માધ્યમથી મુંબઈ રહેતી અર્ચના માહાનંદ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો.
આ દરમ્યાન અર્ચનાએ સંયુક્ત પરિવારમાં નહી રહે તેવી શરત મૂકી હતી, જે યુવકના પરિવારજનોએ સ્વીકારી હતી. જે બાદ લગ્નના સમયે અર્ચના તેના માતા-પિતા અને બહેન સાથે આવી હતી અને યુવક પાસે લગ્ન ખર્ચ માટે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી યુવકે સમાજમાં આબરૂ સાચવવા માટે 2 લાખ રૂપિયા આપી દીધા હતા. તેમજ યુવકે અર્ચનાને લગ્નની ખરીદી બાકી હોય પોતાના ખર્ચે કપડા અને અન્ય નાની મોટી ખરીદી કરાવી હતી અને યુવક અને અર્ચનાના સુરતમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ લગ્ન થયા હતા.
જો કે લગ્નના 10 દિવસ બાદ અર્ચના ઘરમાંથી સોનાનું મંગળસુત્ર, એક સોનાનો નાકનો દાણો, એક જોડી પગની પાયલ ચાંદીની, એક ગળામાં પહેરવાનો સોનાનો હાર લઈને પિયર જતી રહી હતી. જ્યાંથી યુવક સાથે યોગ્ય રીતે વાતચીત કરતી ન હતી તેમજ ફોન મેસેજનો જવાબ પણ આપતી નહતી.
જ્યારે યુવક સુરતથી તેના ઘરે તેડવા ગયો હતો, જ્યાં અર્ચનાએ યુવકને છૂટાછેડા આપવાની કોશિશ કરી તો સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી. આટલું જ નહી અર્ચનાએ તેના અને તેની બહેન અને માતા-પિતાના ખર્ચ માટે દર મહિને 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. તેમજ સાસરે આવવાની ના કહી દીધી હતી. જો સાસરે આવવાની ફરજ પાડશે તો તેની બહેન બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે યુવકે સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકની ફરિયાદના આધારે અર્ચના કપુરચંદ માહાનંદ, વૈભવી કપુરચંદ માહાનંદ, આશાબેન કપુરચંદ માહાનંદ અને કપુરચંદ માહાનંદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
