Surat: શહેરના અમરોલી વિસ્તારમાં પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. આ મામલે પોલીસે આરોપીને જેલ ભેગો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના વતની પિતામ્બર નાહક (62) શહેરના અમરોલી વિસ્તારની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં રહ છે. તેમના સંચા મશીન ચલાવતા પુત્ર કપિલાશ (30)ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતની જાણ થતાં અમરોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર લંબાવ્યો હતો.
પ્રાથમિક તપાસને અંતે પોલીસે કપિલાશના હમવતની એવા રાજુ પ્રધાન (23)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક કપિલેશ અને રાજુ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં કપિલેશે ઉશ્કેરાઈને રાજુને મા-બહેનને ગાળો ભાંડી હતી. આથી આવેશમાં આવેલા રાજુએ નજીકમાં પડેલ પથ્થર લઈને કપિલેશનું માથું છૂંદી નાંખતા તેનું મોત નીપજ્યું હતુ.
સુવાલી રોડ પર ટ્રેલરની પાછળ ધડાકાભેર બાઈક ઘુસી જતાં યુવકનું મોત
સુરતના સુવાલી રોડ પર રોડ પર એક ટ્રેલર ઉભું હતું. આ દરમ્યાન એક બાઈક સવાર બાઈક લઈને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યારે ધડાકાભેર ટ્રેલરની પાછળ અથડાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ બ્રિજેશ પટેલ (25) તરીકે થઈ છે. જે સુરતના જૂનાગામમાં રહેતો હતો અને સ્થાનિક કંપનીમાં કામ કરતો હોવાનું માલૂમ પડ્યું છે. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામનાર યુવકની ઓળખ 25 વર્ષીય બ્રિજેશ પટેલ તરીકે થઈ છે. બ્રિજેશ સુરતના જુનાગામનો રહેવાસી હતો અને તે સ્થાનિક વિસ્તારની જ એક કંપનીમાં નોકરી કરતો હતો. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
