GSRTC Surat Bharatmala Highway ST Bus: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) સુરત વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરત એસ.ટી નિયામક પીવી ગુર્જરની ઉપસ્થિતિમાં સુરતથી અમદાવાદ, ગોધરા અને મોડાસા તરફ મુસાફરી કરતાં લોકો માટે આજથી 'ભારતમાલા હાઈવે' પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
GSRTCની આ નવી સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોનો સમય બચાવવાનો અને ઓછા ભાડામાં ઝડપી મુસાફરી પુરી પાડવાનો છે. આ બસો કીમ ચાર રસ્તાથી સીધી ભારતમાલા હાઈવે પર પ્રવેશ કરશે.
તેમજ અમદાવાદ-નહેરુનગર જતી સર્વિસમાં અંકલેશ્વર, ભરૂચ, પાલેજ, કરજણ, વડોદરા બાયપાસ થશે. આ સિવાય મોડાસા જતી બસ અંકલેશ્વર, ભરૂચ,પાલેજ, કરજણ, વડોદરા, હાલોલ,કાલોલ, વેજલપુર બાયપાસ થશે. જેના પરિણામે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
નવી શરૂ થયેલી બસ સેવાનો રૂટ અને કેટલું ભાડુ રહેશે?
અડાજણ-સુરત-અમદાવાદ (નહેરુનગર): આ રૂટ પર વોલ્વો બસ સેવા ઉપલબ્ધ રહેશે. અડાજણથી સવારે 8 કલાકે અને સુરતથી બપોરે 1 કલાકે ઉપડશે. જ્યારે નહેરુનગરથી પરત આવવા માટે સવારે 6:45 અને બપોરે 13:45નો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ બસનું ભાડું રૂ. 711 રાખવામાં આવ્યું છે.
ઉધના-સુરત-અમદાવાદ: આ રૂટ પર ગુર્જરનગરી બસ દોડશે. ઉધનાથી ઉપડવાનો સમય સવારે 10 કલાકનો રહેશે અને અમદાવાદથી પરત આવવાનો સમય સાંજે 4 કલાકનો છે. આ રૂટનું ભાડું રૂ. 241 નક્કી કરાયું છે.
બારડોલી-સુરત-મોડાસા: ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરો માટે સુપર બસ સેવા શરૂ કરાઈ છે. જે બારડોલીથી સવારે 7 કલાકે ઉપડશે અને મોડાસાથી પરત આવવા માટે સાંજે 4:40 કલાકનો સમય રહેશે. આ રૂટનું ભાડું રૂ. 287 રહેશે.
જણાવી દઈએ કે, આ તમામ બસો અંકલેશ્વર, ભરૂચ, પાલેજ, કરજણ અને વડોદરા બાયપાસ થઈને પસાર થશે. મોડાસા જતી બસ હાલોલ, કાલોલ અને વેજલપુર બાયપાસનો પણ રૂટ લેશે.
