Rajkot Rain: સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. સંભવિત અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિના સમયમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બને તે માટે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર તંત્રએ કમર કસી છે.
જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં એસ.ટી. સેવાના સંચાલન માટે એસ.ટી.વિભાગ તથા સંભવિત ખેતીપાકને નુકસાનીની સ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે સહિતની આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.
એસ.ટી બસોની જાણકારી માટે વિશેષ કંટ્રોલ રૂમ કાર્યરત
ચોમાસા દરમિયાન તાકીદની પરિસ્થિતિમાં એસ.ટી. બસો જરૂરી માનવબળ સાથે ઉપલબ્ધ થાય તે રીતની તૈયારી કરવામાં આવી હોવાનું વિભાગીય નિયામક એસ.ટી. વિભાગ રાજકોટ દ્વારા જણાવ્યું છે. એસ.ટી.ના બંધ થયેલા રૂટ અંગેની વિગતો જાહેર જનતાને મળી રહે, તે માટે કંટ્રોલરૂમ પર વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બંધ થયેલા રૂટની માહિતી ડિઝાસ્ટર શાખાને મોકલી આપવામાં આવે છે.
જયારે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રાજકોટ દ્વારા ભારે વરસાદ કે વાવાઝોડાની પરિસ્થિતિમાં બચાવ-રાહત કાર્ય માટે ઘટના સ્થળે ઉપસ્થિત કરાવી શકાય તેવા 1,148 ક્રેન માઉન્ટેડ વ્હીકલ, 603 ડમ્પર, 16482 ટ્રેકટર, 5884 ટ્રક, 951 જેસીબી-લોડર સહિતના વાહનોની યાદી તેમના માલિકના નામ, સરનામા અને મોબાઈલ નંબરની યાદી જિલ્લા કંટ્રોલરૂમ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ખેડૂતો માટે ખાસ વોટ્સએપ ગ્રુપ અને 71 સરવે ટીમો બનાવાઇ
જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવક મારફત ખેડૂતોના ગ્રૂપ બનાવી સંભવિત વરસાદ/વાવાઝોડાની આગાહી તમામ ખેડૂતોને નિયમિત મળી રહે તે પ્રકારે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.જેથી ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતમાં ખેડૂતો સ્વબચાવ, પરિવારજનો સહિત ઢોર-ઢાંખરના બચાવની પૂર્વ તૈયારી કરી શકે, તેમ રાજકોટ ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.
ચોમાસાના પ્રારંભે ખેડૂતો દ્વારા વાવણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોય છે ત્યારે વાવાઝોડા,પૂર કે અતિભારે વરસાદના કારણે ખેતીની જમીન કે પાકને નુકસાન થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 71 જેટલી સર્વે ટીમોની રચના કરવામાં ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવી છે.
