Rajkot: શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ છાશવારે જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. આવી જ વધુ એક ઘટના શહેરના સંત કબીર રોડ પરથી સામે આવી છે. જેમાં બેફામ ટેન્કર ચાલકે સાયકલ લઈને જતાં વિદ્યાર્થીને કચડી નાંખ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સંતકબીર રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતો પવન નિશાદ (12) શહેરના રણછોડનગરમાં આવેલી શાળા નંબર-15માં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આજે બપોરે પવન સાયકલ લઈને સંત કબીર રોડ પર આવેલા દૂધેશ્વર મહાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે માંતેલા સાંઢની માફક ધસી આવેલા ટેન્કર ચાલકે પવન નિશાદની સાયકલને ઠોકર મારીને ભાગી છૂટ્યો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પવન નિશાદનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. બીજી તરફ આ ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે પંચનામું કરીને પવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પવન નિશાદનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને તેના પિતા રાજકોટમાં ઈમિટેશનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પવન નિશાદ 3 ભાઈ અને બે બહેનોમાં સૌથી મોટો હતો. જે સ્કૂલેથી છૂટીને સાયકલ લઈને ઘર તરફ આવી રહ્યો હતો, ત્યારે જ અકસ્માતમાં તેનું મોત થયું છે. હાલ તો આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી ટેન્કર મૂકી નાસી છૂટેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
