રાજકોટમાં ડાઘિયાઓની દબંગાઈઃ શ્વાન વ્યંધિકરણ છતાં 8 માસમાં 11,292 લોકોને રખડતા કૂતરા કરડ્યા

શેરી-ગલ્લીઓમાં રખડતા કૂતરાઓ પૈકી અમૂક શ્વાન હિંસક બની જાય છે. જેનુ મુખ્ય કારણ લોકો દ્વારા શેરી કૂતરાઓને આપવામાં આવતો ખોરાક હોય છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 02 Sep 2025 05:07 PM (IST)Updated: Tue 02 Sep 2025 05:07 PM (IST)
rajkot-news-stray-dogs-have-bitten-more-than-11000-people-in-last-8-month-596190
HIGHLIGHTS
  • મનપાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલાઓનું લિસ્ટ જાહેર
  • મનપા દ્વારા શહેરની બહાર ખાસ શ્વાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યુ છે

Rajkot: રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા શ્વાન ખસીકરણ પાછળ લાખોનુ આંધણ કરવામાં આવી રહ્યુ છે. આમ છતાં શ્વાનની વસ્તી વિસ્ફોટક જોવા મળી રહી છે. તેમજ રખડતા શ્વાનમાં હિસંકતા વધતા કૂતરા કરડવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્યંધિકરણ તેમજ રસીકરણ સહિતના કામના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા 8 માસ દરમિયાન ડોગબાઇટ એટલે કૂતરા કરડવાના કેસની વિગત જાહેર કરવામાં આવી છે.

છેલ્લા 8 માસ દરમિયાન 11292 લોકોને અલગ-અલગ વિસ્તારમાં કૂતરા કરડ્યા હોવાના અને આ લોકોએ સરકારી તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

મહાપાલિકાના પ્રાણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, એજન્સી મારફતે શ્વાનના વ્યંધિકરણ તથા ખસીકરણ અને રસીકરણ સહિતની કામગીરી આખુ વર્ષ ચાલુ રાખવામાં આવી રહી છે. આમ છતાં શ્વાનની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યા છે અને કૂતરા કરડવાના બનાવો પણ યથાવત રહ્યા છે.

શેરી ગલ્લીઓમાં રખડતા કૂતરાઓ પૈકી અમૂક શ્વાન હિસંક બની જાય, ત્યારે લોકો તેનો ભોગ બનતા હોય છે. જેનુ મુખ્ય કારણ લોકો દ્વારા શેરી કૂતરાઓને આપવામાં આવતો ખોરાક હોય છે. આવી જ રીતે વિસ્તારમાં એક માત્ર હોય તેવા કૂતરાઓ પણ હિંસક બની જવાના દાખલા જોવા મળી રહ્યા છે.

વાહન ચાલકો દ્વારા શ્વાનને હડફેટે લેવામાં આવે જેમા ખાસ કરીને નાના ગલુડિયાઓના મોત નીપજતા હોય છે. આ બનાવના લીધે પણ શ્ર્વાન હિંસક બની જાય છે. વાહન ચાલકો પાછળ દોડતા હોવાનુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા 8 માસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં કૂતરા કરડવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે.

8 માસ દરમિયાન 11292 લોકોએ શ્વાન કરડવાના કારણે સારવાર લીધી હોવાનુ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાના અને પ્રાઇવેટ હોસ્પિટલોના રિપોર્ટ ઉપરથી જાણવા મળેલ છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોના વ્યંધિકરણ તથા ખસીકરણ અને રસીકરણ માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા શહેરની બહાર ખાસ શ્વાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં ફરિયાદો આવ્યે પકડવામાં આવેલા હિસંક શ્વાનને કેન્દ્રમાં રાખી ટ્રેન કરવામાં આવે છે. જે બાદ આ શ્વાન જે સ્થળેથી ઉપાડવામાં આવ્યો હોય, તે સ્થળે પરત મૂકી દેવામાં આવે છે. જેના લીધે હિંસક શ્વાનની સંખ્યામાં ઘટાડો જોવા મળ્ય છે. જો કે ખસીકરણની કામગીરી વ્યવસ્થિત ન હોવાથી દર વર્ષે શ્વાનની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

દર વર્ષે શહેરમાં 10,000થી વધુ લોકોને કૂતરાઓ કરડતા હોવાથી તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે સધન કામગીરી કરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.