Rajkot: મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે સવારથી જંગલેશ્વરમાં 1498 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે પૈકી પ્રથમ દિવસે 1119 બાંધકામો ઉપર બુલડોઝર ફર્યા બાદ આજે સવારથી બાકી રહેલા 378 બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. જે બપોર સુધીમાં પૂર્ણ થયા બાદ કાટમાળ હટાવવાની અને સફાઇ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જે બે દિવસ ચાલનાર હોવાનુ જાણવા મળેલ છે.
રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનમાં 87000 ચોરસ મીટર જમીનમાં ગેરકાયદેસર ખડકાયેલા 1489 મકાનમાંથી આજે શાંતિપુર્ણ માહોલમાં પ્રથમ દિવસે રાજકોટ મહાપાલિકાએ મકાન નેસ્તનાબુદ કરી પ્રથમ દિવસનું ઓપરેશન સમાપ્ત કર્યું છે. આજે બાકી રહેલા 378 મકાન તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જંગલેશ્વર વિસ્તારમાં નદીકાંઠામાં સૌથી વધુ 992 મકાન અને ટી.પી. રોડ ઉપરના 497 આસામીઓ દ્વારા રહેણાંક, કોર્મશિયલ દબાણ કરી લેવામાં આવતા તમામ આસામીઓને મહાપાલિકા દ્વારા મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ, મહાપાલિકાની ટીમ દ્વારા મિલકત ધારકોને મકાન ખાલી કરવા સમજાવવામાં આવ્યા હતા અને ગઇકાલે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યુ હતું અને આજે સવારથી બાકી રહેલ બાંધકામો તોડવાની કાર્યવાહી શરૂ કરી બપોર સુધીમાં પુર્ણ કરવામાં આવી હતી અને હવે કાટમાળ ખસેડવાની અને સફાઈ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જંગલેશ્વરમાં સોમવારે સવારે 7 વાગ્યે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ 7 સેક્ટરમાં વિભાજન કરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 42 ટીમ બનાવી 63 જેસીબી, 7 હિટાચી, 42 ગેસ કટર, 290 ટ્રેક્ટર, 50 બ્રેકર સાથે એક સાથે 7 શેરીમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ દિવસે 87000 ચોરસ મીટર જમીનમાંથી 54000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. બાકીની 33000 ચોરસ મીટર ઉપર 378 મકાન તોડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી હતી.
આજે મહાપાલિકાની ટીમ દ્વારા નદીકાંઠાના 992 મકાનમાંથી 681 મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. નદીકાંઠા વિસ્તારમાં એક સાથે 26થી વધુ JCB દ્વારા ઓપરેશન કરી એકસાથે 26 મકાન તોડી પાડવામાં આવ્યા હતા.
આ કાટમાળ નદીકાંઠા વિસ્તારમાં ખસેડી સમથળ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ટી.પી.રોડમાં આવતા 439 મકાન તોડવામાં આવ્યા હતા. જંગલેશ્વરમાં બેથી પાંચ દાયકા સુધી આશિયાનામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ તેઓની નરી આંખે પોતાના જ મકાન તૂટતા જોઈ ધુસકેધ્રુસકે રડયા હતા. અનેક સ્થળોએ નાના બાળકો પણ રડી પડયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. કચવાટ સાથે આક્રોશ જોવા મળ્યો હતો.
ડિમોલિશન દરમિયાન અનેક આસામીઓના માલ સામાન રસ્તા ઉપર પડયો હતો. આવા કપરા સમયે આસામીઓએ છેલ્લા બે દિવસથી જમ્યા ન હોય સામાજીક સંસ્થા અને આગેવાનો દ્વારા ફુડ પેકેટ આપવામાં આવ્યા હતા.
