Rajkot: ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર મચાવનારા રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી એવા રાજદીપસિંહ જાડેજાને મોટી કાનૂની રાહત મળી છે. જેમાં ગોંડલની એડિશનલ ડિસ્ટ્રીક્ટર એન્ડ સેશન્સ કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે.
રાજદીપસિંહ જાડેજા 84 દિવસથી જેલવાસ ભોગવતા હતા
રીબડાના અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજાનું નામ ખુલતા તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ ધરપકડથી બચવા માટે રાજદીપસિંહ લગભગ છ મહિના સુધી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
આ દરમિયાન તેમણે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતમાંથી પણ કોઈ રાહત ન મળતા આખરે તેમણે પોલીસ સમક્ષ હાજર થવાનો નિર્ણય લીધો હતો.
જે બાદ 10 નવેમ્બર, 2025ના રોજ રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ મથકે હાજર થયા હતા. પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ 13 નવેમ્બરના રોજ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આમ છેલ્લા 84 દિવસથી રાજદીપસિંહ જેલવાસ ભોગવી રહ્યા હતા.
આ કેસમાં જામીન મેળવવા માટે રાજદીપસિંહ દ્વારા ગોંડલની સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર ની નિમણૂક કરી હતી.
ગોંડલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એ. ત્રિવેદીની કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ કેસના મેરિટ અને પોલીસ તપાસના કાગળોને ટાંકીને મજબૂત દલીલો રજૂ કરી હતી.
