Rajdeepsinh Jadeja Bail: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ફગાવાઈ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજદીપસિંહે રહીમ મકરાણી નામના વ્યક્તિ દ્વારા સગીરાનો ઉપયોગ કરીને અમિત ખૂંટને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 09 Sep 2025 05:03 PM (IST)Updated: Tue, 09 Sep 2025 05:03 PM (IST)
gujarat-high-court-rejects-rajdeepsinh-jadejas-bail-in-amit-khunt-suicide-case

Gujarat HC Verdict On Rajdeepsinh Jadeja Bail: રીબડના ચર્ચિત અમિત ખૂટ આત્મહત્ય કેસમાં નવી માહિતી સામે આવી છે. ફરાર આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ અમિત ખૂંટે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત બે આરોપીઓ સામે અમિતના ભાઇ મનીષ ખુંટે ફરિયાદ નોંધાવ્યા બાદ રાજદીપસિંહ જાડેજા ફરાર છે. તેણે ગોંડલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવ્યા બાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

બનાવની વિગતો જોઇએ તો ગત 3 મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કામ કરતી એક સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મની ફરિયાદના બે દિવસ બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આપઘા કર્યો હતો. અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે આ કેસમાં રાજદીપસિંહ જાડેજા, તેના પિતા અનિરુદ્ધસિંહ અને અન્ય બે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ રાજદીપસિંહ ફરાર થઈ ગયો હતો. અગાઉ, ગોંડલ સેશન્સ કોર્ટે પણ તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજદીપસિંહે રહીમ મકરાણી નામના વ્યક્તિ દ્વારા સગીરાનો ઉપયોગ કરીને અમિત ખૂંટને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. રહીમ મકરાણીએ સગીરાના સોશિયલ મીડિયા આઈડી અને પાસવર્ડ મેળવીને અમિત ખૂંટ સાથે વાતચીત કરી હતી અને તેને ફસાવ્યો હતો.

આ કાવતરામાં વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, અમિત ખૂંટે અગાઉ અનિરુદ્ધસિંહને પોપટ સોરઠીયા હત્યા કેસમાં થયેલી સજા માફ કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ ગૃહ વિભાગમાં અરજી કરી હતી, જેના કારણે આરોપીઓએ કાવતરું રચ્યું હતું.

રાજદીપસિંહના વકીલે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે તેમના અસીલ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી અને તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. વકીલે એમ પણ કહ્યું હતું કે અમિત ખૂંટની સુસાઈડ નોટ અને 2022ની ચૂંટણીમાં થયેલા ઝઘડા સિવાય બીજું કોઈ કારણ નથી. જો કે, સરકારી વકીલે આ દલીલોનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આરોપી ભાગેડુ છે અને સ્યૂસાઇડ નોટમાં તેનું નામ સ્પષ્ટ રીતે લખેલું છે. તેમણે એમ પણ જણાવ્યું કે અનિરુદ્ધસિંહની સજા માફી સામે અમિત ખૂંટે ગૃહ વિભાગમાં અરજી કરી હતી, જે આરોપીઓના કાવતરાનું કારણ હતું.