Rajkot: પાટીદાર સમાજમાંથી આવતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પરષોત્તમ રુપાલા ભાગેડું લગ્ન પ્રથા તેમજ લગ્ન પાછળ થતાં ખોટા ખર્ચાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જેને પાટીદાર સમાજના અન્ય અગ્રણીઓએ પણ રુપાલાના સુરમાં સુર પુરાવતા સમાજને જાગૃત કરવા પર ભાર મૂક્યો છે.
ભાગેડું લગ્ન પ્રથાને સંવેદનશીલ મુદ્દો ગણાવતા રુપાલાએ જણાવ્યું કે, આવા લગ્નો સમાજ જીવન પર વિપરિત અસર પડતી હોય છે. ભાગીને લગ્ન કરવા પછી તેને પ્રેમલગ્નનું સ્વરૂપ આપવાનો વિષય ખૂબ જ છાણાવટ માંગી લે તેવો છે. ગુજરાત સરકાર આ દિશામાં વિચારી જ રહી છે. જેને મારું પુરેપુરુ સમર્થન છે.
સામાજિક બંધારણમાં સુધારા આવશ્યક
સમાજના બંધારણ અંગે રાજકોટના સાંસદે જણાવ્યું કે, આજે એવો કોઈ સમાજ નહીં હોય, જેમની પાસે પોતાના સમાજનું બંધારણ ના હોય. દરેક સમાજના પોત-પોતાના બંધારણો અસ્તિત્વમાં છે. જો કે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને તેમાં સુધારા જરૂરી છે.
સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર થવા જોઈએ: બાંભણીયા
પરુષોત્તમ રુપાલાના નિવેદનને યોગ્ય ગણાવતા પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર થવા જ જોઈએ. પરષોત્તમ રુપાલાએ કહ્યું કે, છૂટાછેડાના પૈસા ગણવા, ડિવોર્સની મેટરો વધવી તેમજ ખાસ કરીને જીવનસાથીની પસંદગીમાં દીકરીઓની માંગણી સમાજ માટે એક દૂષણ છે. દરેક સમાજે આ મામલે શીખ લેવી જોઈએ. આ સાથે જ તેના માટે એક બંધારણ ચોક્કસ બનવું જોઈએ.
આ મામલે અન્ય એક પાટીદાર અગ્રણી મથુર સવાણીએ જણાવ્યું કે, પરષોત્તમ રુપાલાએ 100 ટકા સાચી વાત કહી છે. પાટીદાર સમાજે જલ્દી જ રીત-રિવાજોને લઈને બંધારણ બનાવવું જોઈએ. અન્ય સમાજો તમામ નિયમો બનાવને હાલ ખૂબ જ સુધારો કરી રહ્યા છે. પરષોત્તમ રુપાલાના કહેવાનો અર્થ, આખા સમાજને જાગૃત કરવાનો જ છે.
