Rajkot: આગામી જાન્યુઆરી 2027માં વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ 2027નું આયોજન કરવામાં આવ્યું છે.
દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે તારીખ 2 મેના શનિવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડલધામ મંદિર ખાતે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દશાબ્દી મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મહોત્સવ ખોડલધામ મંદિર પરિસર, કાગવડ ખાતે 19 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2027 સુધી ઉજવવામાં આવશે.
દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું કે, દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય તેના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીશું.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કરોડો લોકોએ અહીં આવીને માઁ ખોડલના આશીર્વાદ લીધા છે, ત્યારે દશાબ્દી મહોત્સવમાં પણ લોકો ભાવથી જોડાશે. ચોખ્ખા મન અને આત્માથી કાર્ય કરીશું તો ધાર્યું પરિણામ આપણે મેળવી શકીશું. માતાજી આપણને આ કાર્ય કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ગામડે ગામડે રથ પરિભ્રમણ કરશે
ખોડલધામ દશાબ્દી મહોત્સવના આમંત્રણના ભાગરૂપે આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ ગામડાઓ અને શહેરોમાં માઁ ખોડલ રથમાં બિરાજમાન થઈને રૂબરૂ આમંત્રણ આપવા જશે. આ માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ત્રણ રથ તૈયાર કરવામાં આવશે, જે અલગ અલગ ઝોનમાંથી દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા જશે.
2 મેના રોજ ખોડલધામ મંદિરે યોજાયેલા દશાબ્દી મહોત્સવ આયોજન મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વાગત પ્રવચન ટ્રસ્ટી મનોજભાઈ સાકરીયાએ કર્યું હતું અને આભારવિધિ ટ્રસ્ટી જી.એલ. રામાણી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હરેશભાઈ કાવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
