રાજકોટ મનપામાં નવા પદાધિકારીઓ માટે ભાજપની સેન્સ, તમામ કોર્પોરેટરોને વન ટુ વન સાંભળ્યા; હવે સરપ્રાઈઝ પેકેજની તૈયારી

મેયર પદ માટે પરેશ ઠાકર, મનિષ ભટ્ટ, કેતન પટેલ, નેહલ શુક્લ અને નરેન્દ્રસિંહ જાડેજા રેસમાં. નિરિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરાયેલી યાદી પ્રદેશ કક્ષાએ મોકલાયા બાદ સત્તાવાર જાહેરાત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 May 2026 05:46 PM (IST)Updated: Sat, 02 May 2026 05:47 PM (IST)
rajkot-civic-body-bjp-surveys-all-72-corporators-surprise-candidates-likely
HIGHLIGHTS
  • દરેક હોદ્દા પર લાયકાતના ધોરણે નિમણૂંક થશે કે જ્ઞાતિના સમિકરણોના આધારે સિલેકશન?

Rajkot: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીના ગણિતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે કવાયત તેજ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની પસંદગી માટે હાલમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે ભાજપે જૂની પરંપરા તોડીને તમામ 72 કોર્પોરેટરોને વ્યક્તિગત રીતે સાંભળ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

સામાન્ય રીતે સેન્સ પ્રક્રિયા દરમિયાન માત્ર મુખ્ય દાવેદારોને જ સાંભળવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ભાજપના નિરીક્ષકોએ દરેક વોર્ડના સંગઠન અને કોર્પોરેટરો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઈકમાન્ડ આ વખતે કોઈ 'સરપ્રાઈઝ ફેક્ટર' લાવી શકે છે. જ્ઞાતિના સમીકરણો અને આગામી ચૂંટણીના તખ્તાને ધ્યાનમાં રાખીને નવા સુકાનીઓના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.

naidunia_image


મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવી મહત્વની પોસ્ટ માટે અનેક નામો ચર્ચામાં છે:

મેયર પદ માટે: પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નેહલ શુક્લ, કેતન પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજાના નામો મોખરે છે.

સ્ટેન્ડિંગ ચેરમેન માટે: પાવરફુલ ગણાતી આ પોસ્ટ માટે ઘનશ્યામ હેરભા, પૂર્વ મેયર પ્રદીપ ડવ, નેહલ શુક્લ અને કેતન પટેલના નામ ચર્ચાની એરણે છે.

ડેપ્યુટી મેયર: આ પદ માટે કોઈ મહિલા ઉમેદવારની પસંદગી થવાની પ્રબળ શક્યતા છે, જેમાં રઘુવંશી અથવા ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય મળી શકે છે.

આ સમગ્ર પસંદગી પ્રક્રિયામાં ઉદય કાનગડ, ડો. દર્શિતા શાહ અને રમેશ ટીલાળા જેવા દિગ્ગજ નેતાઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નિરીક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરાયેલી આ યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાંથી આખરી નામોની જાહેરાત કરવામાં આવશે. માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતો માટે પણ આ જ પ્રકારે કવાયત હાથ ધરાઈ છે.