Rajkot: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર જશરાજનગરમાં રહેતા યુવકે સ્યુસાઈડ નોટમાં 'પપ્પા, મારી બે દીકરીનું ધ્યાન રાખજો' લખી ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ નજીક જશરાજનગરમાં રહેતા ચેતન મોરધરા (37) નામના યુવકે પોતાના ઘરે પંખામાં દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સવારે જ્યારે ચેતનના પત્ની જલ્પા મોરધરા ઉઠ્યા, ત્યારે તેમણે પતિને લટકતો જોઈને બૂમાબૂમ કરી મૂકતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જે બાદ 108ને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે આવેલા EMTએ ચેતનને મૃત જાહેર કર્યો હતો. આ બાબતની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસને મૃતક ચેતને આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'હું મારી રીતે આ પગલું ભરું છું. પપ્પા, મારી બે દીકરીઓનું ધ્યાન રાખજો' તેમ લખ્યું હતુ.
પ્રાથમિક તપાસમા મૃતક સેન્ટ્રીંગ કામ કરતો હોવાનુ અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
