Rajkot: GST ઘટાડાની અસર વર્તાઈ, રાજકોટમાં દશેરાના દિવસે 4718 વાહનોનું વિક્રમજનક વેચાણ

રૂ. 90 કરોડથી વધુ કિંમતના વાહનો વેચાતા રાજકોટ કોર્પોરેશનને ટેક્સ પેટે એક જ દિવસમાં રૂ. 1.67 કરોડની આવક થઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Oct 2025 06:14 PM (IST)Updated: Fri, 03 Oct 2025 06:14 PM (IST)
rajkot-news-gst-cut-boosts-4718-vehicle-sales-on-dussehra-2025
HIGHLIGHTS
  • ગત વર્ષ કરતાં 1700 ટુ-વ્હીલર વધારે વેચાયા
  • આ વર્ષે હેવી વાહનોનું વેચાણ ઓછું થયું

Rajkot: સરકારે GSTમાં ઘટાડો કરતા તેની અસર વાહનના વેચાણ ઉપર વધુ જોવા મળી છે. શહેરીજનો દ્વારા દશેરાના શુકનવતા દિવસે વાહનો છોડાવાનો ક્રેઝ હંમેશા રહ્યો છે. જેમાં આ વર્ષે પણ દશેરાના એક જ દિવસમાં અલગ અલગ પ્રકારના 4718 વાહનોનું વિક્રમ જનક વેચાણ થયું છે. ટુ વ્હીલથી લઈને હેવી વાહનનું 90 કરોડનું ટર્નઓવર થતાં મહાનગરપાલિકાને ટેક્સ પેટે રૂા. 1.67 કરોડની અવાક થઈ હતી.

કેન્દ્ર સરકારે જીએસટી 2.0 લાગુ કરતા અન્ય એકમોની સાથો સાથ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પણ તેની સારી અસર જોવા મળી છે. ગત વર્ષે દશેરાના દિવસે થયેલા વાહનોના વેચાણની સામે આ વર્ષે વિક્રમજનક વાહનોનું વેચાણ થયું છે.

મોટેભાગે લોકો દ્વારા વર્ષમાં બે વખત એટલે કે, દશેરા અને ધન તેરસના દિવસે વધુ વાહનો છોડાવાતા હોય છે. જેમાં સૌથી વધુ નવરાત્રી દરમિયાન શો-રૂમોમાં નોંધણી કરાવ્યા બાદ દશેરાના દિવસે વાહનની ડિલેવરી લેવાની પ્રથા આજે પણ ચાલુ છે.

નવરાત્રી શરૂ થતાં જ શહેરના અલગ અળગ કંપનીના શો-રૂમમાં લોકો પોતાની જરૂરિયાત મુજબના વાહનોની ખરીદી માટે એડવાન્સ બુકીંગ કરાવેલ હતું અને દશેરાના દિવસે ડિલેવરી લેતા તમામ શો-રૂમના વાહન વેચાણનો આંકડો મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ પાસે પહોંચ્યો છે. જે મુજબ અલગ અલગ પ્રકારના 47018 વાહનોનું વેચાણ થયું છે. કુલ 90 કરોડથી રૂપિયાથી વધુનું વેચાણ ફક્ત રાજકોટ શહેરમાં નોંધાયું છે.

મનપા દ્વારા વાહન વેચાણ પેટે લેવામાં આવતા ટેક્સમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. 47018 વાહનો પેટે મહાનગરપાલિકાએ રૂા. 1.67 કરોડનો ટેક્સ ઉઘરાવ્યો છે. દશેરાના દિવસે થયેલા વાહન વેચાણમાં સીએનજી, ડીઝલ અને પેટ્રોલ વાહનો પૈકી પેટ્રોલ વાહનોનું વેચાણ વધુ જોવા મળ્યું છે.

મનપાના ટેક્સ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ દશેરાના એક જ દિવસે ગત વર્ષે તા. 3-10-2024ના રોજ 2966 અલગ અળગ પ્રકારના વાહનોનું વેચાણ થયું હતું. જેના થકી મનપાને રૂા. 1.01 કરોડની આવક થઈ હતી. જેની સામે આ વર્ષે 1.67 કરોડની આવક નોંધાઈ છે.

દશેરાના દિવસે સૌથી વધુ વેચાણ ટુ વ્હીલરનું થયું છે, જે ગત વર્ષ કરતા 1700 વાહન વધુ હોવાનું જણાવાયું છે. તેવી જ રીતે ફોર વ્હીલના વેચાણમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. થ્રી વ્હીલર શ્રેણીના વાહનોમાં મહદંશે વધારો જોવાયો છે. જ્યારે હેવી વાહનોનું વેચાણ આ વર્ષે ઓછું થયાનું જાણવા મળેલ છે.

દશેરાના એક જ દિવસે થયેલા વિક્રમજનક વાહનોના વેચાણના કારણે મનપાની ટેક્સની આવકમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ટેક્સ વિભાગના જણાવ્યા મુજબ દિવાળી દરમિયાન લાભ પાંચમ સુધી વાહનોનું વેચાણ સતત થતું રહેશે. જેના લીધે લાભ પાંચમ બાદના આંકડા પણ વાહન વેચાણમાં વધારો થયાના જોવા મળશે આથી ટેક્સનો લક્ષ્યાંક આ વર્ષે વહેલો પૂર્ણ થઈ જાય તેવી સંભાવના જોવાઈ રહી છે.