Rajkot: રાજકોટમાં રોગચાળો બેકાબુ, ઝાડા-ઉલટીએ ધોરણ-11ના વિદ્યાર્થીનો ભોગ લીધો

ઝાડા-ઉલટી થતાં સગીરને બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર કારગત નીવડે, તે પૂર્વે હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં કલ્પાંત

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Jul 2025 04:26 PM (IST)Updated: Wed, 02 Jul 2025 04:26 PM (IST)
rajkot-news-disease-outbreak-student-died-due-to-diarrhea-and-vomiting
HIGHLIGHTS
  • ચોમાસાની શરૂઆતમાં જીવલેણ રોગચાળાનો અજગરી ભરડો
  • માલવિયાનગર પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો

Rajkot: રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો બેકાબુ થયો હોય તેમ જીવલેણ બન્યો છે. રોગચાળાના કારણે અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ છે, ત્યારે રાજકોટમાં રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું ઝાડા-ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજતાં પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં મવડી ચોકડી પાસે આવેલ ઉદયનગરમાં રહેતા અને ધો.11માં અભ્યાસ કરતાં વૈભવ પરાગભાઈ પાઠક નામનો 16 વર્ષનો સગીર પોતાના ઘરે હતો, ત્યારે ઝાડા-ઉલ્ટીની બિમારી સબબ બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ટૂંકી સારવાર દરમિયાન વૈભવ પાઠકે ઝાડા ઉલ્ટીની બિમારી સબબ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી સગીરના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક વૈભવ પાઠકના પિતા ખાનગી સ્કૂલમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. વૈભવ પાઠક બે ભાઈમાં મોટો હતો અને ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. વૈભવ પાઠકનું ઝાડા ઉલ્ટીની બિમારી સબબ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે..