Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં જામીન પર છૂટેલા દિનેશ પાતરની તબીયત અચાનક લથડી હતી. જે બાદ તેમણે હોસ્પિટલના બીછાનેથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને પોલીસ પર સંગીન આક્ષેપો કર્યા હતા. જે બાદ અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ જયદાન મુછડિયાએ પોલીસ અને ગોંડલના ધારાસભ્યના પરિવાર પર સંગીન આક્ષેપ કરતાં જણાવ્યું કે, એક અનુસૂચિત જાતિના દીકરા દિનેશ પાતરને ખોટી રીતે હેરાન કર્યો છે. આ મામલે આગામી દિવસોમાં ગોંડલમાં બાઈક રેલી અને એક લાખ દલિતોનું સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિના આગેવાનો સાથે બેઠક યોજીને આ સંમેલનનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો
અનુસૂચિત જાતિના પ્રમુખે ગોંડલના ધારાસભ્યના પરિવાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અલ્પેશ કથીરિયાના આગમન સમયે થયેલ તોડફોડ મામલે પણ અનુસૂચિત જાતિના પ્રમુખે ચિમકી ઉચ્ચારી છે.
જણાવી દઈએ કે, ગોંડલની સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી જામીન પર છૂટેલા દિનેશ પાતરની તબીયત અચાનક લથડતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાની મદદગારીના ગુનામાં ઝડપાયેલા દિનેશ પાતરે હોસ્પિટલના બિછાનેથી જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
બપોરના સમયે તેના જામીન થઈ ગયા હોવા છતાં, પોલીસે તેને સાંજ સુધી ગોંધી રાખ્યો હતો. આ આક્ષેપને પગલે મેઘવાળ સમાજના યુવાનોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.
