Rajkot: ગુજરાતના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવ આજે રાજકોટની મુલાકાતે છે. જ્યાં તેમણે રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર રેન્જના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ 'ક્રાઈમ કોન્ફરન્સ' યોજી હતી. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
DGPએ ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું આજે સાંજે રૂબરૂ જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કરીશ.
રાજ્યના વિવિધ શહેરોમાં મળી રહેલી બોમ્બની ધમકીઓ અંગે DGPએ સ્પષ્ટતા કરી હતી કે, પોલીસ આ મામલે અત્યંત ગંભીર છે અને તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ધમકીઓ (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)ના માધ્યમથી આપવામાં આવી રહી છે. ધમકી આપનારના મૂળ સોર્સ સુધી પહોંચવા પ્રયત્નો ચાલુ છે, જોકે મોટાભાગના લોકેશન વિદેશમાં હોવાનું જણાયું છે.
સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, 50 કરોડ પરત કરાવી આપ્યા છે. છેતરપિંડી થયાના પ્રથમ એક કલાકને 'ગોલ્ડન અવર' ગણાવતા તેમણે કહ્યું કે, જો આ સમયમાં કોલ કરવામાં આવે તો નાણાં બચાવવાની શક્યતા વધી જાય છે.
