Rajkot Demolition: જંગલેશ્વરમાં ડિમોલિશન કાંડ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ડેપ્યુટી કમિશનરને 'બિલાડી'નું રમકડું પકડાવ્યું

કોંગ્રેસે રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનમાં ખાણી-પીણીના નામે થયેલા ભ્રષ્ટાચાર સામે મહાનગરપાલિકામાં વિરોધ નોંધાવ્યો. તેમણે ડેપ્યુટી કમિશનરને બિલાડીનું રમકડું આપી સ્વતંત્ર તપાસ અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 30 Jun 2026 06:03 PM (IST)Updated: Tue, 30 Jun 2026 06:03 PM (IST)
rajkot-news-congress-unique-protest-over-jangleshwar-demolition-throws-symbolic-cat
HIGHLIGHTS
  • કોંગ્રેસે મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપી સ્વતંત્ર તપાસ માંગી

Rajkot Demolition: રાજકોટના જંગલેશ્વરમાં કરવામાં આવેલા ડિમોલિશન દરમિયાન ખાણી-પીણીના નામે ભ્રષ્ટાચાર આચરવાનુ ખુલતા આજે કોંગ્રેસે મહાનગરપાલિકામાં આવેદન પત્ર આપી અધિકારીઓની તપાસ સમિતિ બનાવી બિલાડીને દૂધના રખોપા સોંપવાનો વિરોધ નોંધાવ્યો હતો અને ડેપ્યુટી કમિશનરને બિલાડાનું રમકડુ આપી નિષ્પક્ષ, સ્વતંત્ર અને પારદર્શિ તપાસ યોજવા માંગણી કરી હતી અને અધિકારીઓ સામે અધિકારીઓને જ તપાસ સોંપવાની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચાર અંગે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિત વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર શહેરમાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં અને રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે બનાવટી તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.

કોંગ્રેસે માંગ કરી છે કે, સમગ્ર મામલાની તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ દ્વારા નહીં, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા કરવામાં આવે. આ સાથે જ ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે.

આટલું જ નહીં, તપાસ દરમિયાન જો અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાકટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવે.

વધુમાં ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. આ સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડો કર્યા વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ અને મક્કમ માંગ છે.