GSRTC Employees DA Hike: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના હજારો કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
એસ.ટી. નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધીને 58 ટકા થશે
GSRTC દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, અગાઉ ગત ઓગસ્ટ મહિનામાં એસ.ટી. નિગમના કર્મચારીઓનો સાતમા પગાર પંચ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે મોંઘવારી ભથ્થુ 53 ટકાથી વધીને 55 ટકા કરવામાં આવ્યું હતુ.
જે બાદ ગત 7 ઓક્ટોબરના રોજ નાણાં વિભાગના ઠરાવને અનુસરીને 1 જુલાઈ, 2025થી મોંઘવારી ભથ્થાના દરમાં વધુ 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી હવે એસ.ટી. નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધીને 58 ટકા થઈ જશે.
આ બાબતે સરકાર દ્વારા કાળજીપૂર્વક વિચારણા કર્યાં બાદ નિગમના અધિકારીઓ અને કર્મચારીઓને આ વધારાનો લાભ આપવા તેમજ ચૂકવવાની થતી એરિયર્સની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. સરકારના આ નિર્ણયથી એસ.ટી. નિગમના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારી
એસ.ટી. નિગમના કર્મચારીઓ સાતમા પગાર પંચ પ્રમાણે મોંઘવારી ભથ્થુ આપવાની માંગણી કરી રહ્યા હતા. આ માંગણીને સ્વીકારીને ગત વર્ષે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ કર્મચારીઓને 7 મહિનાનું એરિયર્સ પણ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણયથી એસ.ટી. નિગમના 37 હજારથી વધુ કર્મચારીઓને સીધો ફાયદો થશે.
