Rajkot: આગામી 3 ઑક્ટોબરથી હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવરાત્રીના પ્રથમ દિવસે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાવા જઈ રહી છે.
હકીકતમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ષોથી આસો મહિનાની નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ રહી છે. આ પરંપરા અંતર્ગત 15મી નવરાત્રી પદયાત્રા અને ધજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં પ્રથમ નોરતે 3 ઑક્ટોબરે ગુરુવારના રોજ સવારે 7 કલાકે કાગવડ ગામથી ખોડલ મંદિર સુધી પદયાત્રા યોજાવા જઈ રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ ખોડલના જય જયકાર સાથે ખોડલ મંદિર પહોંચશે, જ્યાં માતાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધ્વજારોહણ કરવામાં આવશે.
કાગવડ ગામથી નીકળનારી આ પદયાત્રાનું સમાપન ખોડલધામ મંદિરે થશે, જ્યાં ખોડલ માતાની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન ખોડલધામ મંદિરમાં માતાજીને દરરોજ અવનવા શણગાર કરવામાં આવશે.
