Rajkot: હવેથી પ્રિ-વેડિંગ અને કંકુ પગલાની પ્રથા બંધ, આહિર સમાજમાં લગ્ન ખર્ચ પર અંકુશ લાવવા મહત્ત્વનો ઠરાવ પાસ

આ નિયમોનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ સમાજની માફી નહી માંગે તો એક લાખનો દંડ કરવામાં આવશે. જો રકમ ના ભરે તો સમાજની બહાર કરાશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Nov 2025 10:57 PM (IST)Updated: Sat, 08 Nov 2025 10:57 PM (IST)
rajkot-news-ahir-samaj-constitution-for-control-the-wedding-expenses
HIGHLIGHTS
  • લાડવા પ્રથામાં માત્ર બહેન-દીકરી પુરતો જ જમણવાર મર્યાદિત રાખવો
  • મામેરામાં 11 હજારથી વધારે રકમ આપવાની મનાઈ

Rajkot: શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક ખાતે આજે શનિવારના રોજ હાલર પંથકના આહિર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટમાં વસતા હાલર પંથકના આહિર પરિવારોના 1500થી વધુ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

આ સ્નેહ મિલન દરમિયાન સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તમામ પરિવારોની સંમતિથી લગ્નના વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

આ ઠરાવમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો

  • લાડવા જમણવાર: લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં, પણ માત્ર બેન-દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો
  • કંકુ પગલાં: કંકુ પગલાં પ્રથા બંધ કરવી.
  • પ્રિ-વેડિંગ: પ્રિ-વેડિંગ બંધ કરવું.
  • ફટાકડા: કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં.
  • મામેરામાં રોકડ: મામેરામાં રૂ. 11,000/- (અગિયાર હજાર)થી વધારે રકમ આપવી નહીં.
  • સોનાના દાગીના: લગ્ન પ્રસંગે વર પક્ષે 8 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં. દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વર પક્ષને 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં.
  • માઠા પ્રસંગે જમણવાર: માઠા પ્રસંગે જમણવાર ઘર તથા બહેન-દીકરી પૂરતો જ કરવો.
  • કંકોત્રી: કંકોત્રી રસમમાં ડેકોરેશન કરવું નહીં (કુટુંબ પરિવાર પૂરતું જ રાખવું).
  • ફુલેકું/દાંડિયા રાસ: લગ્ન પ્રસંગે કોઈપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં (ફુલેકું, દાંડિયારાસ, ડી.જે., મામેરા, વરઘોડો, વરતી જાન).
  • શ્રાદ્ધ-પાયસમ: શ્રાદ્ધ-પાયસમના જમણવાર ઘર પૂરતું રાખવું.
  • શ્રીમંત-દીકરી વધામણાં: શ્રીમંત અને દીકરી વધામણાંમાં ડેકોરેશન કરવું નહીં અને પેંડા વહેંચણી પ્રથા બંધ કરવી.
  • પૈસા પાછા વાળવા: કોઈપણ પ્રસંગમાં બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
  • દાંડિયા રાસ: વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. ( વર- કન્યા બંને પક્ષનો પ્રસંગ સાથે હોય તો લાગુ નહીં પડે)
naidunia_image

આ નિયમોનું ભંગ કરનાર રાજકોટમાં રહેતા આહિર હાલાર સમાજના કોઈપણ વ્યક્તિ અને સમાજની માફી માંગે નહીં તો એક લાખનો દંડ કરવામાં આવશે. જો દંડની રકમ ના ભરે તો તેમને સમાજ સામે માફી માગવાની રહેશે. તેમજ સમાજની બહાર કરવામાં આવશે.