Rajkot: તાજેતરમાં જ શહેરના પંચનાથ પ્લોટમાં થયેલી રૂ. 67 લાખથી વધુની ચોરીના ગુનાનો ભેદ રાજકોટ પોલીસે સફળતાપૂર્વક ઉકેલી નાંખ્યો છે. DCP રાકેશ દેસાઈના નેતૃત્વમાં એ-ડિવિઝન પોલીસની ટીમે ચોરીમાં સંડોવાયેલી રાજસ્થાનની ત્રિપુટીને ઝડપીને જેલના હવાલે કર્યા છે.
પોલીસની તપાસમાં આરોપીઓની ઓળખ ગોપાલ મીણા, જગદીશ મણી અને મુકેશ મીણા તરીકે થઈ છે. જે પૈકી ગોપાલ મીણા મુખ્ય સુત્રધાર છે. ગોપાલ મીણા અગાઉ ફરિયાદીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો હતો. આથી તેને ઘરની અંદર રહેતી તમામ વસ્તુની જાણકારી હોવાથી તેણે સાગરિતો સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતુ.
પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી રૂ. 9.90 લાખની રોકડ રકમ અને દાગીના સહિત કુલ 74.22 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા બદલ પોલીસની કામગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ઘટનાએ શહેરીજનોમાં ફેલાયેલી ચિંતાને પણ દૂર કરી છે.
