Rajkot | Saurashtra Rain: છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં મેઘરાજા આરામ પર જતા રહ્યા હતા, પરંતુ ઉત્તર પ્રદેશ પર બનેલું ડિપ્રેશન અને તેની સાથેના ટ્રફની સિસ્ટમ જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેમ-તેમ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. આજની તારીખ સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 52.46 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌરાષ્ટ્રમાં 50.74 ટકા વરસાદ વરસ્યો છે.
જો આજની વાત કરવામાં આવે તો, આજે વહેલી સવારથી રાજ્યના 98 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 38 જેટલા તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. જે પૈકી સૌથી વધુ 90 મિમી (3.54 ઇંચ) વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ખાબક્યો છે.
જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, કેશોદમાં 32 મિમી (1.26 ઇંચ), જૂનાગઢ શહેર 31 મિમી (1.22 ઇંચ), વંથલીમાં 26 મિમી (1.02 ઇંચ), મેંદરડામાં 24 મિમી (0.94 ઇંચ), માણાવદરમાં 19 મિમી (0.75 ઇંચ), માળીયા હાટીનામાં 17 મિમી (0.67 ઇંચ) અને વિસાવદરમાં 4 મિમી (0.16 ઇંચ) વરસાદ વરસ્યો છે.
અન્ય તાલુકામાં વરસાદની વિગતો જોઈએ તો, જામનગરના જોડીયામાં 71 મિમી (2.8 ઇંચ), ગીર સોમનાથના સુત્રાપાડામાં 35 મિમી (1.38 ઇંચ), જામનગરના જામજોધુરમાં 27 મિ.મી (1.06 ઇંચ), મોરબીના ટંકારામાં 27 મિ.મી (1.06 ઇંચ) વરસાદ નોંધાયો છે.
બપોરે 2 થી 4 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી જૂનાગઢના કેશોદમાં 18 મિ.મી., મેંદરડામાં 14 મિ.મી, ભાવનગરના શિહોરમાં 14 મિ.મી, ગીર સોમનાથના સુત્રાપાડા, પાટણના સરસ્વતી અને શંખેશ્વર તાલુકામાં 10-10 મિ.મી વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 8 તાલુકામાં 1 ઈંચથી વધુ, 2 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 1 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
