Rajkot: વીરનગરની શિવાનંદ હોસ્પિટલમાં આંખના ઑપરેશન બાદ 10 દર્દીને અંધાપાની અસર, ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી

હોસ્પિટલના ઑપરેશન થિયેટર સીલ મારવામાં આવ્યા, બે દર્દીઓને અમદાવાદ રિફર કરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Sep 2024 05:23 PM (IST)Updated: Sat, 28 Sep 2024 05:24 PM (IST)
rajkot-news-10-patient-lose-vision-after-surgery-in-shivanand-hospital-at-veernagar

Rajkot: ભાવનગર રોડ ઉપર આટકોટ નજીક આવેલી શિવાનંદ હોસ્પિટલમાં આંખના ઓપરેશન બાદ 10 જેટલા દર્દીઓને અંધાપાની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. અંધાપાની અસર થયેલા તમામ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. જે બાદ વધુ બે દર્દીઓની ગંભીર સ્થિતિ હોવાના કારણે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ થતાં રાજકોટની આરોગ્ય ટીમ પણ શિવાનંદ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને ઓપરેશન થીયેટર સીલ મારી દેવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આટકોટ નજીક વીરનગર ખાતે આવેલી શિવાનંદ હોસ્પિટલમાં સોમવારે 32 જેટલા દર્દીઓનું આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના બે દિવસ બાદ 10 જેટલા દર્દીઓને અંધાપાની અસર થઈ હોવાની ફરિયાદ હોસ્પિટલ સુધી કરવામાં આવી હતી.

અસર વધુ થતાં તમામ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં બે દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે અમદાવાદ અને ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતાં. અમદાવાદ અને ગાંધીનગર ખાતે છેલ્લે સારવાર લઈ રહેલા દર્દીઓને આ અંગેની જાણ આરોગ્ય વિભાગને કરતા સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું.

રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શિવાનંદ હોસ્પિટલ ખાતે તાત્કાલીક દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. જે બાદ ગાંધીનગરની ટીમ પણ હોસ્પિટલ ખાતે આવી હતી અને તમામ ઘટનાની જાણકારી મેળવી જે વિભાગમાં ઓપરેશન થયા હતાં, તે સાત ઓપરેશન થીયેટર સીલ મારી દેવામાં આવ્યા હતાં.

આ અંગે હોસ્પિટલના સુત્રોએ વધુમાં જણાવ્યું કે, સોમવારે 32 દર્દીઓના ઓપરેશન કરાયા હતાં. બે દિવસ સુધી એક પણ ફરિયાદ મળી નહતી. બે દિવસ બાદ અંધાપાની અસર થઈ હોવાની ફરિયાદ ઉઠી હતી. સોમવાર બાદ મંગળવાર અને બુધવારના રોજ પણ અનુક્રમે 65 અને 66 દર્દીઓના આંખના ઓપરેશનો કરવામાં આવ્યા હતાં. જો કે તે કોઈને પણ અંધાપાની અસર થઈ નથી. વધુમાં હોસ્પિટલના આરોગ્ય સાથે જોડાયેલા કર્મચારીએ જણાવ્યું હતું કે, હાલ વાતાવરણના કારણે પણ આ પ્રકારની અસર થઈ શકે છે.

શિવાનંદ હોસ્પિટલના 9થી 10 દર્દીઓને અંધાપાની અસર થતાં પ્રથમ રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ બે દર્દીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. અન્ય ચાર દર્દીઓને રાજકોટ ઈન્દિરા સર્કલ ખાતે આવેલ ડો. અનડકટની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. જ્યારે અન્ય દર્દીઓની તબીયત સુધારા ઉપર હોય તેઓને સારવાર માટે ફરી વીરનગર ખાતે લઈ જવામાં આવ્યા છે.

રાજકોટ સિવિલના જણાવ્યા મુજબ રાજકોટ સિવિલમાં સારવાર આપ્યા બાદ તેઓને રજા આપવામાં આવી હતી. સિવિલમાંથી દર્દીઓને રજા મળતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દર્દીઓની સારવારનો ખર્ચ ટ્રસ્ટ ઉપાડવા તૈયાર
શિવાનંદ આંખની હોસ્પિટલ સાથે જોડાયેલા અશોકકુમાર મહેતાએ જણાવ્યું કે, 9થી 10 જેટલા દર્દીઓને અસર થઈ છે. તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજ સુધીમાં આ પ્રકારનો બનાવ એક પણ બન્યો નથી. છતાં પણ કોઈ ક્ષતિના કારણે આ ઘટના બની હોવી જોઈએ જેનું ટ્રસ્ટને પણ દુ:ખ છે. અસર થયેલા દર્દીઓના દૂખને નિવારવા માટે ટ્રસ્ટ પણ સહયોગ આપસે અને દર્દીઓની સઘન સારવારનો ખર્ચ ટ્રસ્ટ આપવા પણ તૈયાર છે.

68 વર્ષમાં 9.8 લાખ દર્દીઓની આંખના ઓપરેશન
રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલી શિવાનંદ હોસ્પિટલ 1956થી કાર્યરત છે. જેમાં આંખને લગતી સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 68 વર્ષમાં 9.8 લાખ જેટલા દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. તેમજ દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે લઈ જવા અને મૂકી જવા ઉપરાંત રહેવા જમવાની પણ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે.