Rajkot: રાજકોટમાં ખોડિયાર પરા વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે ખરાબ રસોઈ બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેથી પતિએ પત્નીને ગાળો ભાંડી હતી. બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીને માઠું લાગી આવ્યુ હતું. આવેશમાં આવેલી તરૂણીએ ઝૂલામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મૂળ ઉતર પ્રદેશની વતની અને હાલ રાજકોટમાં આજી વસાહત વિસ્તારમાં આવેલ ખોડિયારપરામાં બહેન બનેવી સાથે રહેતી ચાંદનીબેન શેખરભાઇ ચૌહાણ નામની 13 વર્ષની તરૂણી સાંજના 5 વાગ્યાના અરસામાં ઘરે હતી, ત્યારે ઝૂલ્લામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.
તરૂણીને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડીગયાો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી તરૂણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક ચાંદનીબેન ચૌહાણ એક ભાઇ ત્રણ બહેનમાં વચેટ હતી અને છેલ્લા છ મહિનાથી બહેન બનેવી સાથે રહેતી હતી. ગઇકાલે મોટીબહેન રીનાબેન સાથે બનેવી ધર્મપાળે રસોઇ કેમ ખરાબ બનાવી તેમ કહી ગાળો ભાંડી હતી. જેથી ચાંદનીને લાગુ આવતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
